- RTOમાં કામગીરી બંધ કરી ITIમાં લેવાના નિર્ણયનો હવે પસ્તાવો
- અગાઉ પૂર્વ અધિકારીઓએ પરીક્ષા ઓનલાઇન લેવા સૂચનો કર્યા હતા પણ નોંધ ન લેવાઈ
- RTO માં કામગીરી બંધ કરીને ITI માં પરીક્ષા લેવાના નિર્ણયનો હવે પસ્તાવો થઇ ગયો છે
વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીઓએ ભવિષ્યની ચિંતા કર્યા વગર RTO માં વાહનના કાચા લાઇસન્સની પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાની રજૂઆતો કરતાં સરકાર દ્વારા નિર્ણય કરાવીને ITI સંસ્થાને કાચા લાઇસન્સની કામગીરી સોંપી દેવાઇ હતી. હવે ઊંટ કાઢતા બકરું પેઠું જેવા સ્થિતિ જોવા મળી રહી છે. RTO માં કામગીરી બંધ કરીને ITI માં પરીક્ષા લેવાના નિર્ણયનો હવે પસ્તાવો થઇ ગયો છે. RTO ના પૂર્વ અધિકારીઓએ અગાઉ કમિશનરને મોકલેલા સૂચનો પણ કોરાણે મુકી દેવાયા છે. વાહનના કાચા લાઇસન્સની ITI સંસ્થામાં ગેરરીતિની ફરિયાદો બાદ કમિશનર કચેરી દ્વારા તપાસ સોંપાઇ છે, પરંતુ પારદર્શતા રાખીને ઝડપી તપાસ કરાવાય તો મોટાપાયે ગેરરીતિ બહાર આવી શકે છે. એજન્ટો દ્વારા મહિને લાખો રૂપિયાનો વહીવટ થતો હોવાનું બહાર આવ્યું છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ મગનું નામ મરી પાડતા નથી. બીજી બાજુ વિભાગ કે કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં રસ લેતાં નથી. આથી RTOના પૂર્વ ઉચ્ચ અધિકારીઓએ વાહનના કાચા લાઇસન્સની પરીક્ષા ઓનલાઇન લેવા માટે સરકારમાં રજૂઆત કરી છે. અગાઉ મોકલેલા સૂચનો સાથે રજૂઆત કરીને ઓનલાઇન પરીક્ષાની માંગ કરી છે. વિભાગના ઉચ્ચઅધિકારીઓને તપાસ અને ઓનલાઇન પરીક્ષા અંગે પૂછતાં ગોળ ગોળ જવાબ આપ્યો હતો.
પરીક્ષામાં 60 ટકાના બદલે 73.13 ટકા પાસની સિસ્ટમથી અન્યાય
પૂર્વ અધિકારીઓ, આરટીઓ કાચાં લાઇસન્સની પરીક્ષામાં 15 પ્રશ્નો પુછાય છે. આમાંથી 60 ટકા પ્રમાણે 9 પ્રશ્નો સાચા હોય તો પાસ કરવા જોઇએ. તેના બદલે 11 પ્રશ્નો સાચા હોય તો પાસ કરાય છે. જેની ટકાવારી 73.33 ટકા થાય છે. એટેલ ટકાવારીનું સ્ટાન્ડર્ડ જળવાતું નથી. પરીક્ષાર્થીઓ સાથે અન્યાય થાય છે. ઉપરાંત પરીક્ષામાં હાલની સ્થિતી પ્રમાણે મોટર વાહન અધિનિયમના સુધારા મુજબ પ્રશ્નો અપડેટ થતાં નથી. હજી પણ વર્ષો જૂની વાહન ચલાવવાની અને ટ્રાફિક સિગ્નલ સંબંધિત પ્રશ્નો પુછાય છે.


