- GCASના ધાંધિયાથી કંટાળ્યા બાદ યુનિવર્સિટીએ ઓફલાઈન પ્રવેશનો નિર્ણય કર્યો
- UGમાં 7 અને PGમાં 4 જુલાઈથી ઈન્ટર-સે મેરિટના આધારે કોલેજો પ્રવેશ આપી શકશે
- ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં માત્ર 10 હજાર જેટલા જ પ્રવેશ થયા
ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના ધાંધીયાથી રાજ્યની યુનિવર્સિટી, કોલજો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે.આખરે યુનિવર્સિટીઓની રજૂઆત બાદ ત્રીજા રાઉન્ડની પ્રક્રિયામાં GCASની કોઈ જ દખલગીરી ન થાય એ પ્રકારના યુનિવર્સિટીઓ દ્વારા નિર્ણયો લેવાઈ રહ્યાં છે.
જેથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી, પીજી અને બી.એડના પ્રવેશ ઓફલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. UGમાં 7 અને PGમાં 4 જુલાઈથી Inter- se મેરીટના આધારે કોલેજો પ્રવેશ આપી શકશે.
ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં માત્ર 10 હજાર જેટલા જ પ્રવેશ થયા છે. એ સિવાય બીજા રાઉન્ડ માટે 20 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ચોઈસમાં ફેરફાર કર્યો હતો. બીજા રાઉન્ડમાં સોમવારે પ્રવેશ ફાળવી દેવામાં આવશે, જે રિપોર્ટીંગ 3 જુલાઈ સુધી ચાલશે. બીજી તરફ રજિસ્ટ્રેશન જ કરાવ્યુ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે જીકાસ પોર્ટલ તા.4થી 6 જુલાઈ દરમિયાન ઓપન રહેશે. 6 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એ પછી ત્રીજો રાઉન્ડ ઓફલાઈન હાથ ધરાશે. ત્રીજા રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોએ યુજીના પ્રવેશ Inter- se મેરીટના આધારે તથા કેટેગરીના નિયમો અનુસાર પ્રવેશ આપવાનો રહેશે. પીજી અભ્યાસક્રમમાં 4 જુલાઈથી ઓફલાઈન પ્રવેશ આપી શકશે. આ સિવાય બી.એડમાં પ્રવેશ કાર્યવાહી તા.1લી જુલાઈથી ડિ-સેન્ટ્રલાઈઝડ સંબંધિત એફિલિએટેડ કોલેજ દ્વારા કરવાની રહેશે. જેમા દરેક કોલેજો મેરીટનું પાલન કરવાનું રહેશે.
26મીથી સત્ર શરૂ કરવાનો ફિયાસ્કો, હજુ 15મી જુલાઈ આવી જશે
સરકાર દ્વારા કોમન એક્ટની સાથે તમામ યુનિવર્સિટીઓ માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ હતુ. કોમન કેલેન્ડર મુજબ તા.26મીથી યુજી અને પીજીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સત્ર શરૂ કરવાનું આયોજન કરાયુ હતુ. પરંતુ પ્રવેશમાં જીકાસના ધાંધીયા સર્જાતા કેલેન્ડરનો ફિયાસ્કો થયો છે. હાલની સ્થિતિ જોતા હજુ સત્ર શરૂ થવામાં 15મી જુલાઈ આવી જાય તો નવાઈ નહી.


