- ભારત ઇચ્છે તો રશિયામાં યુદ્ધ અટકાવી શકે છે : પ્રેસ સચિવ
- ભારત અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર દેશ, તેની સાથે અમેરિકા સ્પષ્ટ પણે વાત કરે છે
- પીએમ મોદીએ યુદ્ધ દરમિયાન બાળકોની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
વડાપ્રધાન મોદીની રશિયા મુલાકાત પર અમેરિકાની બારીક નજર રહી. અમેરિકાએ ત્યાં સુધી કહી દીધું કે જો કોઈ દેશ રશિયાને મળે તો તેણે યૂક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. હવે અમેરિકાની એક વધૂ પ્રતિક્રિયા સામે આવી છે.
વ્હાઇટ હાઉસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત રશિયા સાથે સારા સંબંધ ધરાવે છે અને ભારતે તેને લાભ ઉઠાવવો જોઈએ. અમેરિકાએ કહ્યું કે ભારત ઇચ્છે તો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને યૂક્રેન સંઘર્ષ અટકાવવા કહી શકે છે. રશિયન પ્રમુખ સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે યૂક્રેન યુદ્ધનું સમાધાન વાતચીતથી જ આવી શકે તેમ છે, યુદ્ધના મેદાનમાં સમાધાન નહીં મળે. તે પછી અમેરિકાએ ઉપરોક્ત પ્રતિક્રિયા આપી છે.
પત્રકાર પરરિષદને સંબોધન કરતાં વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ કરિન જિન-પિયરે ભારત અમેરિકાનું વ્યૂહાત્મક સહયોગી હોવાનું કહીને જણાવ્યું હતું કે ભારત સાથે અમેરિકા સ્પષ્ટ વાત કરે છે. પુતિન સાથે વડાપ્રધાન મોદીની બેઠક વિશે પુછાતાં જિન-પિયરે કહ્યં હતું કે,’ભારત અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર દેશ છે. તેની સાથે અમેરિકા સ્પષ્ટ પણે વાત કરે છે. તેમાં રશિયા સાથેના ભારતના સંબંધોનો પણ સમાવેશ થાય છે.
પીએમ મોદીએ યુદ્ધ દરમિયાન બાળકોની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
વડાપ્રધાન મોદીએ રશિયન પ્રમુખ સાથેની પોતાની દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન યુદ્ધમાં બાળકોની થઈ રહેલી હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ હકીકત જાણીને માનવતામાં વિશ્વાસ ધરાવતી તમામ વ્યક્તિ દુઃખી થાય છે. કિવમાં બાળકોની હોસ્પિટલ પર થયેલા મિસાઇલ હુમલામાં 37 બાળકો માર્યા ગયા હતા. તે પછી વડાપ્રધાનનું નિવેદન સામે આવ્યું હતું.


