- શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ સામે રોડ બેસી જતા લોકોને ભારે હાલાકી
- તંત્રએ બેરિકેડિંગ લગાવી ભૂવાને કોર્ડન કરી સંતોષ માન્યો
- અત્યાર સુધીમાં શહેરમાં 25થી વધુ સ્થળે પડ્યા છે ભૂવા
અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ સામે રોડ બેસી જતા અને ભૂવો પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલમાં તંત્રએ બેરિકેડિંગ લગાવીને ભૂવાને કોર્ડન કરીને સંતોષ માન્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અત્યાર સુધીમાં 25થી વધુ સ્થળે ભૂવા પડ્યા છે.
જનતા હેલ્પ લાઈન નંબર દ્વારા સીધી જ તંત્રની કરી શકશે ફરિયાદ
ત્યારે હવે ભૂવા કે રોડથી હાલાકી વેઠતી પ્રજા સીધી જ તંત્ર સાથે કરી શકશે, જેના માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. 155303 નંબર પર કોઈ પણ વ્યક્તિ તંત્ર સુધી ભૂવા કે રોડ બેસી જવા અંગેની ફરિયાદ કરી શકશે. તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને ભૂવા કે રોડથી પરેશાન થતી પ્રજા હેલ્પલાઈન નંબરથી જ ફરિયાદ કરી શકશે.
અગાઉ વસ્ત્રાલમાં પડ્યો હતો ભુવો
અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં દુન પબ્લિક સ્કૂલ પાસે ભૂવો પડ્યો હતો, ત્યારે પણ AMCએ બેરીકેટ લગાવી સંતોષ માન્યો હતો. સ્કૂલ પાસે ભૂવો પડતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. AMC પણ કામગીરીના નામે બસ બેદરકારી દાખવી હોય તેવું લાગી રહ્યું છે.


