- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વલસાડ જિલ્લાની કોલક નદી પર પુલ તૈયાર થઈ ગયો
- પુલની લંબાઈ 160 મીટર જેટલી છે અને પ્રત્યેક 40 મીટરે 4 ફૂલ સ્પાન ગર્ડર મુક્યા
- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂપિયા 1,08,000 કરોડનો ખર્ચ મંજૂર થયો છે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ જિલ્લાની કોલક નદી પર પુલ તૈયાર થઈ ગયો છે અને પુલનું લગભગ તમામ કામકાજ પૂર્ણ થઈ ચૂક્યુ છે. કોલાક નદી પરના પુલની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ પુલની લંબાઈ 160 મીટર જેટલી છે અને પ્રત્યેક 40 મીટરે 4 ફૂલ સ્પાન ગર્ડર મુક્યા છે.
કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિમી દૂર
ત્યારે જો થાંભલાની ઉંચાઈની વાત કરીએ તો 14 મીટરથી 23 મીટરની ઉંચાઈ ધરાવે છે. આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. બે સ્ટેશનો વચ્ચે પૂર્ણ થયેલી અન્ય નદીઓમાં ઔરંગા અને પાર નદીઓનો સમાવેશ થાય છે. આ નદી વાલ્વેરી નજીક સાપુતારાની ટેકરીઓમાંથી નીકળે છે અને અરબ સમુદ્રમાં મળે છે. કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિમી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિમી દૂર છે.
267 કિમીમાં પિઅર કન્સ્ટ્રક્શનનું કામ પણ પૂર્ણ
તમને જણાવી દઈએ કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રૂપિયા 1,08,000 કરોડના ખર્ચે મંજૂર થયો છે. હાલ બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ ચાલી રહી છે. 4 મહિના પહેલા જ રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક અને ઈન્ફેર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબ આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં 290.64 કિમીમાં પિઅર ફઉન્ડેશન, 267.48 કિમીમાં પિઅર કન્સ્ટ્રક્શન, 150.97 કિમીમાં ગર્ડર કાસ્ટિંગ અને 119 કિમીમાં ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થયું છે.
MAHSR પ્રોજેક્ટ મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદના વેપાર કેન્દ્રોને જોડતા ગુજરાત અને મહારાષ્ટ્રના ઉચ્ચ વિકાસ દર રાજ્યોમાંથી પસાર થાય છે. જાપાનીઝ ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા હાથ ધરાયેલ સંભવિત અભ્યાસ મુજબ પ્રોજેક્ટ ઈકોનોમિક ઈન્ટરનલ રેટ ઓફ્ રીટર્ન 11.8% હોવાનો અંદાજ હતો.
ધરતીકંપની તપાસ પ્રણાલી માટે 28 સિસ્મોમીટર સ્થાપિત કરાશે
ધરતીકંપથી ટ્રેન અને મુસાફરોની સલામતિ માટે બંન્ને સ્ટેશનો વચ્ચે 28 સિસ્મોમીટર લગાવવામાં આવનાર છે. જેમાં ચરોતર પંથકના આણંદ અને મહેમદાવાદ ખાતે આ સિસ્મોમીટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. નોંધપાત્ર વાત એ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પ્રથમવાર આવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. 28માંથી 22 સિસ્મોમીટરને એલાઈનમેન્ટ સાથે ઈન્સ્ટોલ કરવામાં આવશે. જેમાં 14 ગુજરાતમાં હશે. જેમાં વાપી, બિલિમોરા, સૂરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદનો સમાવેશ થાય છે.


