- ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરોની માટીના નમૂના લઇ પંચ રોજકામ કરાયું
- ખેડૂતોની ડીલર, વેપારી વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ દાખલ કરવાની માગણી
- સરકારી બાબુઓ દ્વારા પંચ રોજકામ કરતા માટીના નમુના લેવાની કામગીરી હાથ ધરી
સાયલા તાલુકાના છડીયાળી ગામે 30થી વધુ ખેડૂતોને ભરમાવી ઓર્ગેનિકના નામે નકલી ખાતર પધરાવતા થયેલા નુકશાનનો પર્દાફાશ થતા જિલ્લા તેમજ તાલુકાના સરકારી તંત્રમાં દોડધામ મચી જવા સાથે અધિકારીઓને ગામના ખેડૂતો તેમજ ખેતરોની રુબરુ મુલાકાત લેવાની ફરજ પડી હતી.
નકલી ખાતરના કારણે 400થી 500 વિઘાનું વાવેતર બળી જતા જગતનો તાત લાચાર બની વિમાસણમાં મુકાઇ જવા પામ્યો છે. ત્યારે સરકારી બાબુઓ દ્વારા પંચ રોજકામ કરતા માટીના નમુના લેવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ નકલીનો વેપલો કરીને ખેડૂતોને રાતા પાણીએ રોવડાવનાર ડીલર, વેપારી વિરુદ્ધ તંત્રની ઢીલી નીતિને જોતા ગામલોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સાયલા તાલુકા ગ્રામ્યમાં નકલી ખાતરથી થયેલા નુકશાન બાબતની હકીકત ઉજાગર થતા જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, નાયબ ખેતી નિયામક એસ. એ. સીણોજીયા, કાંધાસર કૃષી વિજ્ઞાન કેન્દ્રના કૃષી વૈજ્ઞાનિક બી. એ. પટેલ, મદદનીશ ખેતીવાડી નિયામક કે. સી. ઠાકોર, વિસ્તરણ અધિકારી એમ. બી. પરમાર, ગ્રામસેવક સહિતનો કાફ્લો છડીયાળી દોડી ગયો હતો. પરંતુ કંપની વિરુદ્ધ કે તેના ડીલર વિરુદ્ધ કાર્યવાહી કરવાને નામે દરેક અધિકારીએ ગોળ ગોળ જવાબ આપતા ખેડૂતોને ન્યાય મળશે કે કેમ? તે સવાલ ઉઠવા પામ્યો છે. તંત્ર દ્વારા હાલ ખેતરોની માટીના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવાની, પંચ રોજ રોજકામ કરી મોટી મોટી વાતો વચ્ચે ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાતા ખેડૂતોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.


