- કેશોદના મુલિયાસા ગામે કેડસમા પાણીમાં જનાજો નીકળ્યો
- ખોરાસા ડેમ ઓવરફ્લો થતાં સાબડી નદીમાં પૂર આવ્યું
- હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિનું થયુ અવસાન
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં કેડસમા પાણીમાં જનાજો કાઢવા લોકોને મજબૂર બનવુ પડ્યુ છે. કેશોદના મુલિયાસા ગામે કેડસમા પાણીમાં જનાજો નીકળ્યો હતો. ભારે વરસાદને પગલે ગઈકાલે રાતના સમયે ખોરાસા ડેમ ઓવરફ્લો થતાં સાબડી નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે ગામમાં ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા.
કેડસમા પાણી ભરાતા જનાજો પાણીમાંથી કાઢવો પડ્યો
જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે તમામ નદી-નાળાઓ પાણીથી છલકાયા છે. ત્યારે મુલિયાસા ગામમાં કેડસમા પાણી ભરાતા જનાજો પાણીમાંથી કાઢવા મજબૂર બનવુ પડ્યુ હતું. ગામના કાસમભાઈ દલ નામના વ્યક્તિને 70 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે અવસાન થતાં આજે બપોરના 2.30 વાગ્યે તેમનો જનાજો નીકળ્યો હતો. ગામના કબ્રસ્તાનમાં જવા માટે સાબડી નદીમાં થઈને પસાર થવુ પડ્યુ.
વલસાડના ધરમપુરમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા નદીમાંથી પસાર થવાની ફરજ પડી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામે આદિવાસી સમાજના લોકોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લાવરી નદીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. લાવરી નદી પર બ્રિજ કે કોઝવે નહીં હોવાથી ચોમાસામાં પાણીથી છલોછલ નદીમાં કમર સુધીના પાણીમાંથી જીવના જોખમે મૃતદેહ સાથે પસાર થવું પડ્યુ.
હાલમાં જ ગામમાં 90 વર્ષીય વૃદ્ધાનું કુદરતી મોત થતાં તેમના મૃતદેહને જીવના જોખમે લાવરી નદી પાર કરીને લઈ જવામાં આવ્યો. નદી પર કોઝવે કે બ્રિજ બનાવવાની લોકોની વર્ષો જુની માંગણી હતી, જે નહીં સંતોષાતી હોવાથી મૃતદેહનો મલાજો જળવાતો નથી. જેને લઈને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ભેંસદરા ગામમાંથી પસાર થતી લાવરી નદી કાંઠે સ્મશાનગૃહ છે, પરંતુ કોઈક કારણસર ગ્રામજનો તેને ઉપયોગમાં લેતા નથી. અહીંના સ્થાનિક રહીશો આ સ્મશાનને બદલે ગામના નિશાળ ફળિયા નજીક, લાવરી નદી વચ્ચે આવેલી જમીનમાં વર્ષોથી અંતિમ સંસ્કારની વિધિ કરતા આવ્યા છે.


