- પાલિકા તંત્ર અથવા સરકાર આ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી લોકોની માગ
- વિપક્ષની અને લોકોની વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
- રખડતા ઢોરને કારણે ધાનેરામાં એક યુવકનું થયું મોત
પાલનપુર, ડીસા, ધાનેરા, થરા અને થરાદ પાલિકા વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે, જે પ્રકારે આ રખડતા ઢોર મુશ્કેલીઓ સર્જે છે અને લોકો મોતને ભેટે છે, પરંતુ તંત્ર પાસે અથવા પાલિકાઓ પાસે એવી કોઈ નીતિ નથી કે આ રખડતા ઢોરની સમસ્યાનો નિકાલ કરી શકે. માત્ર બહાના સિવાય કોઈ વાત નથી અને જેને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે.
શહેરમાં પ્રવેશથી જ રખડતા ઢોરનો ત્રાસ શરૂ
પાલનપુર શહેરમાં પ્રવેશીએ એટલે પ્રવેશવાના માર્ગો પર જ રખડતા ઢોર જોવા મળે એટલે શહેરમાં પ્રવેશથી જ રખડતા ઢોરનો ત્રાસ શરૂ થઈ જાય છે, ધનિયાણા ચાર રસ્તા જગાણા રોડ આદર્શ સ્કૂલ રોડ હાઈવે અને શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરનો અડિંગો જોવા મળે છે. ગઠામણગેટ ગુરુ નાનક ચોક કોજી દિલ્હી ગેટ આદર્શ હાઈસ્કુલ રોડ એવા વિસ્તારો છે, જ્યાં વિદ્યાર્થીઓની નોકરિયાતોની લોકોની અને વાહન ચાલકોની મોટા પ્રમાણમાં હોય છે અને આ વિસ્તારોમાં જ રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે, જે પ્રકારે વાહન ચાલકો રાહદારીઓ ભયના ઓથાર હેઠળ આ રખડતા ઢોર આગળથી પસાર થાય છે અનેકવાર રખડતા ઢોરની અડફેટે લોકોના જીવ ગયા છે તો રખડતા ઢોર અનેક લોકોને અડફેટે લઈને અકસ્માત પણ સર્જે છે, જોકે લોકોની તો માગણી છે કે પાલિકા તંત્ર અથવા સરકાર આ રખડતા ઢોરના
ત્રાસમાંથી મુક્તિ અપાવે.
વારંવાર માત્ર ટેન્ડર પડાય, કામ થતું નથી
પાલનપુર વિપક્ષના નેતાના આરોપ છે કે રખડતા ઢોર પકડનારી એજન્સી અને પાલનપુર પાલિકાના સત્તાધીશો વચ્ચે ટેન્ડરના ભાવ ફેરમાં કંઈક થયું હશે તો જ એજન્સીએ કામ છોડી દીધું હશે વારંવાર માત્ર ટેન્ડર પડાય છે, પરંતુ રખડતા ઢોરને પકડવાનું કામ થતું નથી અને જેને કારણે નાગરિકો રખડતા ઢોરને કારણે પરેશાન થાય છે, જોકે વિપક્ષની અને લોકોની વારંવારની રજૂઆત છે છતાં પણ આ દિશામાં ચોક્કસ કોઈ કામ થતું નથી.
પાલિકા પાસે માત્ર અલગ અલગ બહાના
પાલનપુર નગરપાલિકાએ ત્રણ એજન્સીઓને રખડતા ઢોર પકડવાનું ટેન્ડર આપ્યું, પરંતુ ત્રણે-ત્રણ એજન્સીએ ના પાડી દીધી. એક એજન્સીએ રખડતા ઢોર પકડયા તો પાલિકાએ આ રખડતા ઢોરનો સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા કરી નહીં અને જેને કારણે એજન્સીએ પણ આ કામ છોડી દીધું અને પરિસ્થિતિ યથાવત છે અને પાલિકા પાસે બહાના સિવાય કશું નથી, જોકે કલેક્ટરની સૂચના હોવા છતાં જિલ્લાની પાંજરાપોળના સંચાલકો રખડતા ઢોરને સ્વીકારવાની ના પાડે છે અને જેને કારણે રખડતા ઢોરની સમસ્યાનો નિકાલ થઈ શકતો નથી, પાલનપુર નગરપાલિકાના સત્તાધિશોનું કહેવું છે કે રખડતા ઢોરને પકડવા માટે પ્રયત્નો તો થાય છે, પરંતુ પાંજરાપોળના સંચાલકો રખડતા ઢોર સ્વીકારવા તૈયાર નથી.
ઢોરને કારણે ધાનેરામાં એક આશાસ્પદ યુવકનું મોત થયું
લનપુર ધાનેરા ડીસા સહિતના તાલુકા મથકો પર રખડતા ઢોરની સમસ્યા છે, આજે પણ રખડતા ઢોરને કારણે ધાનેરામાં એક આશાસ્પદ યુવકનું મોત થયું હતું. આ યુવક પોતાની પત્ની સાથે ખરીદી કરવા આવ્યો હતો અને રખડતા ઢોરે બાઈકને અડફેટે લીધું હતું, જેમાં તેનું મોત થયું હતું. જો કે ધાનેરા નગરપાલિકાની બેદરકારીને લઈને પણ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રખડતા ઢોરની સમસ્યાનો નિકાલ ન થતાં ધાનેરામાં એક યુવકે જીવ ખોયો હતો.


