- એક વર્ષથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
- સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી
- બે ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડવાની ફરજ પડી રહી છે
ગીર સોમનાથના છાપરી ગામે સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાની અછતના પગલે વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. સાત ઓરડા પૈકી ચાર ઓરડા જર્જરિત બનતા આચાર્યની ઓફીસમાં વર્ગખંડ કાર્યરત કરાયો છે. છેલ્લા એક વર્ષથી એક વર્ગખંડમાં બે ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડવાની ફરજ પડી રહી છે.
એક વર્ષથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
નવા ઓરડા મંજુર કરવામાં જવાબદાર તંત્રની બેદરકારી છે. તેમજ બે પાળીમાં સ્કૂલના કારણે વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. શિક્ષણ માટેના મોટા મોટા દાવાઓ વચ્ચે ગીર સોમનાથના વેરાવળના છાપરી ગામની સરકારી પ્રાથમિક શાળામાં કંઈક અલગ જ સ્થિતિ સામે આવી છે. ધો.1 થી 8 સુધીના વિદ્યાર્થીઓની આ શાળામાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાળાના સાત પૈકી ચાર ઓરડા જર્જરિત બનતા હાલ માત્ર બે ઓરડામાં જ છે શિક્ષણ કાર્ય ચલાવવું પડી રહ્યું છે. તેમાં પણ આચાર્યની ઓફીસમાં વર્ગખંડ ચલાવવાની ફરજ પડી છે. શાળા આચાર્યના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી આ સ્થિતિ છે. શાળાના ચાર ઓરડા જર્જરિત બનતા ડીમોલેશન તો જાહેર કરી દેવાયું છે. પરંતુ નવા ઓરડાની હજુ મંજુરી અપાઈ નથી. આ બાબતે વડી કચેરીને લેખિતમાં વાકેફ કરી દેવાઈ છે.
સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી
સરકારી શાળામાં ઓરડાની ઘટ બાબતે જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાએ જવાબદાર તંત્રને લેખિત પત્ર પણ પાઠવ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષણને અસર પહોંચી રહી છે તો વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. જે પરિવારના વિદ્યાર્થીઓ 2 પાળીમાં ભણે છે તેને લેવા મુકવા વાલીઓ સતત હાજર રહેવું પડે છે. શાળાના નવા ઓરડા બનાવવા માટે અલગ જગ્યા હોવા છતાં નવા ઓરડા એક વર્ષ વીતી જવા છતાં મંજુર કરાયા નથી. ગ્રામજનો જવાબદાર તંત્ર પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી આપી છે.


