- અનાજ કૌભાંડમાં કોંગ્રેસ-ભાજપ AAP સાથ સાથ હૈ!
- પોલીસે 2 આરોપીની ધરપકડ કરી જ્યારે અન્ય 6 રફૂચક્કર
- પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપ અને આપના નેતાઓ એકબીજા સામે આક્ષેપબાજી કરતાં હોય છે. પણ અંદરખાને તમામ એક જ હોવાનું સાબિત કરતી ઘટના બની છે. થોડા દિવસો પહેલાં સાગબારામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજની દુકાને પહોંચાડવાનો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ખાનગી ગોડાઉન માંથી સરકારી અનાજ પકડાયું હતું જેની તપાસમાં ચોંકાવનારા નામો બહાર આવ્યા છે. નર્મદા જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, સરકારી અનાજની હેરાફેરી કરતા 8 આરોપીના નામો ખુલ્યા હતા જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે બીજા 6 વોન્ટેડ રફૂચક્કર થઇ ગયા છે. આ ભાગી ગયેલા 6 આરોપીમાં એક આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર 2 કોંગ્રેસ પાર્ટીના જેમાં એક કોંગ્રેસનો જિલ્લા પંચાયતનો પૂર્વ સદસ્ય રહી ચુક્યો છે જ્યારે 1 ભાજપના સુરત જિલ્લાના કાર્યકર્તાની સંડોવણી બહાર આવી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અનાજ કોભાંડમાં શૈલેન્દ્રસિંહ વસાવા કે જે આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે કોંગ્રેસના આનંદ વસાવા માજી નર્મદા જિલ્લા પંચાયત સભ્ય,દોલતભાઈ જે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે જ્યારે મનીષ શાહ ભાજપ સુરત જિલ્લાનો કાર્યકર્તા છે. કોંગ્રેસના દોલતભાઈની સાથે બીજા એક વ્યક્તિની નર્મદા પોલીસે ધરપકડ કરી છે જયારે બીજા 6 લોકોની શોધખોળ હાલ ચાલુ છે.
અનાજ કૌભાંડને લઇ નર્મદા SPએ જણાવ્યું હતું કે, ખાનગી ગોડાઉનમાં 10 હજાર કિલો અનાજ જેની કિંમત 3 લાખની આજુબાજુ થાય છે સાથે એક ટેમ્પો પણ પકડવામાં આવ્યો છે જેની સાથે કુલ 4 લાખ 58 હજારનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે જે સિઝ કરવમાં આવ્યો છે. આવા કૌભાડ સામે નર્મદા જિલ્લા પોલીસ કોઈની પણ દબાણમાં આવીને કામગીરી કરશે નહીં. આ અનાજ કૌભાંડમાં કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દેદારને છોડવામાં નહી આવે. સરકારી અનાજ ભરેલો ટેમ્પો હતો તે કોંગ્રેસના આનંદ વસાવાનો હતો અને જે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું તે ગોડાઉન આમ આદમી પાર્ટીના શૈલેન્દ્રસિંહ વસાવાએ ભાડે લીધું હોવાનું ખુલ્યું છે.


