- માત્ર ત્રણ હજારમાં બસ ભાડે મળશે, એક બસમાં 40 લોકો દર્શન કરવા જઈ શકશે
- તારીખ મુજબ નક્કી કરેલા સ્થળ પર બસ લેવા-મૂકવાની સુવિધા આપશે
- છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી શ્રાવણ માસમાં સામાન્ય દરથી બસ સેવા ચલાવાઈ
સોમવારથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ મહિનામાં શહેરના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે AMTS દ્વારા ફરી વખત સામાન્ય ચાર્જ સાથે સેવા શરૂ કરાઈ છે. છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી શ્રાવણ માસમાં સામાન્ય દરથી બસ સેવા ચલાવાઈ રહી છે. આ વખતે પણ ધાર્મિક મહિનામાં બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
શહેરના કોઈ પણ ખૂણે રહેતો નાગરિક શ્રાવણ મહિનામાં મંદિરોના દર્શનાર્થે બસ નોંધાવી શકશે. એક બસમાં 40 લોકોને નવ કલાક માટે બસ પૂરી પડાશે. જેનું રૂપિયા 3,000 ભાડું રહેશે. આમ વ્યક્તિ દીઠ 75 રૂપિયા ભરવાના રહેશે. ભાડાંની રકમ એડવાન્સ જમા કરાવાની રહેશે. તારીખ મુજબ નક્કી કરેલા સ્થળ પર બસ મોકલવામાં આવશે. અમદાવાદ બહાર રહેતા લોકો માટે રૂપિયા 5,000 ભાડું નક્કી કરાયું છે.
આ મંદિરોમાં દર્શન કરાવાશે
ભદ્રકાળી, જગન્નાથ મંદિર, સોમનાથ મહાદેવ(ગ્યાસપુર), લાંભામંદિર, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ, નીલકંઠ મહાદેવ (અસારવા), કેમ્પ હનુમાન મંદિર, મહાકાળી મંદિર (દૂધેશ્વર), અક્ષરપુરુષોતમ મંદિર, ત્રિ-મંદિર, વિશ્વ ઉમિયા ધામ(જાસપુર), વૈષ્ણવદેવી મંદિર, તિરુપતિ બાલાજી, સોલા ભાગવત વિદ્યાપીઠ, હરેકૃષ્ણ મંદિર (ભાડજ), ગુરુદ્વાર ગોવિંદધામ, પરમેશ્વર મહાદેવ, ઇસ્કોન મંદિર અને જલારામ મંદિરે દર્શન કરાવાશે.
નવ કલાક સુધી શહેરના મંદિરોમાં દર્શન કરી શકાશે
બસની નોંધણી કરાવવા માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર ટર્મિનસ પર ભાડાંની નક્કી કરાયેલી રકમ એડવાન્સ ભરવાની રહેશે. રકમ ભરાયા પછી નક્કી કરેલી તારીખે સવારે 8 વાગે સ્થળ પર બસ પહોંચી જશે. ગ્રુપ દ્વારા નક્કી કરાયેલા મંદિરોમાં સાંજના 5.00 વાગ્યા સુધી બસ ફરશે. ગ્રૂપ દ્વારા મંદિરો નક્કી કરવામાં મુંઝવણ હશે તો AMTS પોતે મંદિરોની યાદી નક્કી કરી અપાશે. બસના ભાડાં સિવાય અન્ય કોઇ રકમ આપવાની નહીં રહે. ગત વર્ષે શ્રાવણ અને અધિક મહિનામાં 2,500 બસ ભાડે કરીને 1.50 લાખ નાગરિકોએ ધાર્મિક મંદિરોએ દર્શન કરવાનો લાભ લીધો હતો. AMTS અધિકારીઓએ કહ્યું કે, એક જ વખતમાં 20 મંદિરોમાં દર્શનનું આયોજન શક્ય નથી. એટલે નવ કલાકમાં માત્ર 7થી 8 મંદિરોએ દર્શન થઇ શકે. દર્શન કરવા માટે પૂરતો સમય પણ અપાય છે.


