- શહેરના 19 અંડરપાસમાં લાગશે બૂમ બેરિકેટ
- અંડરપાસમાં પાણી ભરાશે તો થશે ઓટોમેટિક બેરિકેટિંગ
- પાયલટ પ્રોજેક્ટ સફળ થતાં શહેરના તમામ અંડરપાસમાં લગાવાશે આ સિસ્ટમ
અમદાવાદમાં વરસાદ વરસે એટલે સૌથી પહેલા જ શહેરના અંડરપાસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે. ત્યારે હવે આ સમસ્યાને લઈને શહેરના અંડરપાસમાં બૂમ બેરિકેટ લાગશે અને અંડરપાસમાં જેવુ પાણી ભરાશે તો ઓટોમેટિક બેરિકેટિંગ થઈ જશે.
શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિકેટ લગાવવામાં આવશે
શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિકેટ લગાવવામાં આવશે અને ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાશે, ત્યારે ઓટોમેટિક બેરિકેટિંગ થઈ જશે. સેન્સર સિસ્ટમથી ઓટોમેટિક બૂમ બેરીકેટિંગ કામ કરશે. હાલમાં અખબાર નગર અંડરપાસમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બૂમ બેરિકેટ લગાવવામાં આવ્યું છે.
તંત્ર આ સિસ્ટમ લગાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરશે
ત્યારે પાયલોટ પ્રોજેક્ટ સફળ થતાં જ શહેરના તમામ 19 અંડરપાસમાં આ સેન્સર બેરિકેટીંગની સિસ્ટમ લગાવવામાં આવશે. આના માટે તંત્ર મોટો ખર્ચ પણ કરશે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં વરસાદના કારણ અંડરપાસમાં ઘણા વ્હીકલો પાણીમાં ફસાઈ જાય છે અને ઘણી બધી દુર્ઘટનાઓ પણ બનતી હોય છે, ત્યારે પ્રજાની સલામતી માટે આ પ્રકારની સિસ્ટમ શહેરના તમામ અંડરપાસમાં લાગુ કરવામાં આવશે.
શહેરમાં માત્ર ખાડા જ ખાડા
વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ખાડા અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ધરણીધરથી માણેકબાગ રોડ પર ખાડો પડયો છે, જેમાં માણેકબાગ તરફથી આવતા વાહનો ખાડામાં પછડાઈ રહ્યાં છે અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ રાત્રીના સમયે ખાડો ના દેખાતા અકસ્માત થવાનો પણ ડર રહે છે, ત્યારે તંત્ર દ્વારા જલદીથી આ ખાડો પૂરવામાં આવે તેવી શહેરીજનો માગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલા તંત્ર પ્રિ-મોન્સૂનની કામગીરી કરતી હોય છે પણ તે માત્ર દેખાડા પુરતી કરવામાં આવતી હોય તેવુ શહેરના રોડ-રસ્તાઓ પરથી લાગી રહ્યુ છે. થોડા વરસાદમાં જ શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી છે.


