- 2050 સુધીમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થશે
- જેમાં 12 થી 35 વર્ષની વયના લોકો વધારે હશે
- કાનમાં ઈયરફોન ભરાવવા ચિંતાજનક છે: રિપોર્ટ
2050 સુધીમાં વિશ્વમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે. જેમાં 12થી 35 વર્ષની વચ્ચેની વયના લોકો વધુ હશે. ગાઈડલાઈન્સ મુજબ ઈયરફોનથી વધારે અવાજમાં ગીતો સાંભળવાની આપણી ખરાબ ટેવને કારણે આવું થશે.
મેટ્રો, ટ્રેન, પાર્ક કે અન્ય કોઈપણ સાર્વજનિક સ્થળે લોકોને કાનમાં ઈયરફોન પહેરીને આસપાસના વાતાવરણથી સાવ અજાણ રહેતા જોવા મળે છે. ઘણી વખત તેમની આસપાસ કંઈક બનતું હોય તો પણ તેમને જાણ થતી નથી. ઈયરફોન, ઈયરબડ કે અન્ય સાંભળવાના ઉપકરણોને કારણે આવું થઈ રહ્યું છે, WHOના રિપોર્ટ મુજબ જો ખરેખર લોકો બહેરા થઈ જશે તો શું થશે? એકબીજાની વાતો કોઈ સાંભળી ના શકે તો શું થશે? આ વિચારીને તમે પણ ડરી ગયા હશો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં દુનિયાભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળનું કારણ કોઈ રોગચાળો નહીં, પરંતુ ઈયરફોનથી ગીત સાંભળવાને કારણે આવું થઈ શકે છે.
WHOની મેક હિયરિંગ સેફ માર્ગદર્શિકામાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 2050 સુધીમાં વિશ્વભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે. આ યુવાનોની ઉંમર પણ 12થી 35 વર્ષની વચ્ચે હશે. ગાઈડલાઈન્સ કહે છે કે વધારે અવાજથી સાંભળવાની આપણી ખરાબ ટેવને કારણે આવું થશે.
આ શોખ ભારે પડી શકે છે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં 12થી 35 વર્ષની વયના લગભગ 50 કરોડ લોકો વિવિધ કારણોસર સાંભળવા અશક્ત અથવા બહેરાશની સમસ્યાથી પીડિત છે. તેમાંથી 25 ટકા એવા છે કે જેઓ તેમના અંગત ઉપકરણો જેવા કે ઈયરફોન, ઈયરબડ, હેડફોન પર વધારે અવાજ રાખીને સતત સાંભળતા હોય છે. જ્યારે લગભગ 50 ટકા લોકો એવા છે કે જેઓ મનોરંજનના સ્થળો, ક્લબ, ડિસ્કોથેક, સિનેમા, ફિટનેસ ક્લાસ, બાર અથવા અન્ય જાહેર સ્થળો પર લાંબા સમય સુધી મોટેથી સંગીત વગાડતા રહેતા હોય છે. આવી સ્થિતિમાં જોરથી મ્યુઝિક સાંભળવાનો કે કાનના ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ કરવાનો શોખ તમને બહેરા બનાવી શકે છે.
ઉપકરણોનો અવાજ કેટલો હોય છે?
સામાન્ય રીતે વ્યક્તિગત ઉપકરણોમાં અવાજનો સ્તર 75 ડેસિબલથી 136 ડેસિબલ સુધી હોય છે. વિવિધ દેશોમાં તેનું મહત્તમ સ્તર પણ અલગ હોઈ શકે છે. જો કે, વપરાશકર્તાઓએ તેમના ઉપકરણોનું વોલ્યુમ 75 dBથી 105 dBની વચ્ચે રાખવું જોઈએ અને તેનો મર્યાદિત સમય માટે ઉપયોગ કરવો જોઈએ. આનાથી ઉપર જવું એ કાન માટે ખતરો છે.
કેટલો અવાજ સલામત છે?
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીમાં ઈએનટીના પ્રોફેસર ડૉ.બી.પી. શર્મા કહે છે કે ઉપકરણોમાં આવતો અવાજ પણ ઘણો વધારે છે. કાન માટે સૌથી સુરક્ષિત વોલ્યુમ 20થી 30 ડેસિબલ્સ ગણાય છે. આ તે વોલ્યુમ છે જેમાં બે લોકો સામાન્ય રીતે બેસીને શાંતિથી વાત કરે છે. વધુ પડતા અવાજના સતત સંપર્કમાં રહેવાથી કાનની સંવેદનાત્મક કોષોને નુકસાન થાય છે.
અવાજને કારણે થતી બહેરાશ ક્યારેય દૂર થતી નથી
ડૉ.શર્મા કહે છે કે સૌથી ખરાબ વાત એ છે કે ઉપકરણોના ઉપયોગથી થતી બહેરાશ ક્યારેય દૂર થતી નથી. મોટા અવાજના સતત અને લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે હાઇ ફ્રીક્વેન્સી નર્વને નુકસાન થાય છે. તે રિવર્સિબલ નથી. તેની કોઈ સર્જરી થતી નથી કે ન તો કોઈ દવા છે.


