- વિમાન દુર્ઘટનાના 33 કલાક પછી તમામ મુસાફરોના અવશેષો મળી આવ્યા
- પીડિતોમાં 34 પુરુષો અને 28 મહિલાઓનો સમાવેશ થાય છે
- આ જીવલેણ વિમાન દુર્ઘટનામાં તમામ 58 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બરના મોત થયા
બ્રાઝિલમાં શુક્રવારે થયેલ વિમાન દુર્ઘટના આ વર્ષની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાઓમાંની એક છે. આ જીવલેણ વિમાન દુર્ઘટનામાં તમામ 58 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બરના મોત થયા છે. રવિવારે, પીડિતોના સંબંધીઓ બ્રાઝિલના સાઓ પાઉલોમાં સ્મસાનગૃહ અને હોટલોમાં એકઠા થયા હતા. જ્યાં ફોરેન્સિક નિષ્ણાતો મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે.
મીડિયા રિપોર્ટ મુજબ, સાઓ પાઉલો સરકારે રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે વિમાન દુર્ઘટનાના 33 કલાક પછી તમામ મુસાફરોના અવશેષો મળી આવ્યા છે. પીડિતોમાં 34 પુરુષો અને 28 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમની ઓળખ કરવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ પ્લેનના પાઈલટ અને કો-પાયલટ સહિત ચાર લોકોની ઓળખ કરવામાં આવી છે. પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી.
સાઓ પાઉલોથી 49 માઈલ દૂર થયું પ્લેન ક્રેશ
બ્રાઝિલની એરલાઈન વોયપાસના એટીઆર 72 ટ્વીન એન્જિન ટર્બોપ્રોપ એરક્રાફ્ટે શુક્રવારે સાઓ પાઉલોના ગુઆર્યુલોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ પ્લેન 78 કિલોમીટર દૂર ક્રેશ થઈ ગયું હતું. રિપોર્ટ મુજબ સાઓ પાઉલોથી 49 માઈલ ઉત્તરમાં વિન્હેડોમાં 58 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સને લઈને જતું પ્લેન ક્રેશ થયું હતું.
પરાનાના ગવર્નર રતિન્હો જુનિયરે કહ્યું કે વિમાનમાં ઓછામાં ઓછા 8 ડોકટરો પણ સવાર હતા. પશ્ચિમી પરાનામાં યુનિઓસ્ટે યુનિવર્સિટીના ચાર પ્રોફેસરોના મૃત્યુની પણ પુષ્ટિ કરવામાં આવી છે. ત્રણ વર્ષીય લિઝ ઇબ્બા ડોસ સેન્ટોસ પેસેન્જર સૂચિમાં એકમાત્ર બાળક હતું. તે તેના પિતા સાથે મુસાફરી કરી રહ્યો હતો. આ સિવાય એક કૂતરો પણ મૃત્યુ પામ્યો, જેનું નામ લુના હોવાનું કહેવાય છે.
અકસ્માત સમયે સાઓ પાઉલોમાં આપવામાં આવ્યું હતું બરફવર્ષાનું એલર્ટ
જાન્યુઆરી 2023 પછી તે વિશ્વનો સૌથી ભયંકર એરલાઈન અકસ્માત હતો. ગયા વર્ષે નેપાળમાં યતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થતાં 72 લોકોનાં મોત થયાં હતાં. તે એરક્રાફ્ટ પણ એટીઆર 72 હતું અને અંતિમ અહેવાલમાં પાઈલટની ભૂલને દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ વિમાન દુર્ઘટના વિશે કંઈક એવું જ કહેવામાં આવી રહ્યું છે.
બ્રાઝિલના એરફોર્સ સેન્ટર ફોર ઈન્વેસ્ટિગેશન એન્ડ પ્રિવેન્શન ઓફ એર એક્સિડન્ટ્સે કહ્યું હતું કે વિમાનના પાઈલટોએ મદદ માટે ફોન કર્યો ન હતો અને એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો કે એરક્રાફ્ટ વિક્ષેપિત હવામાન પરિસ્થિતિઓમાં કાર્યરત હતું. બ્રાઝિલના હવામાન વિભાગની એક કંપની મેત્સુલે જણાવ્યું હતું કે અકસ્માત સમયે સાઓ પાઉલોમાં ભારે હિમવર્ષાના સમાચાર હતા.
મૃતદેહોની ઓળખ માટે કરવામાં આવી રહી છે લોહીની તપાસ
પીડિતોના સંબંધીઓને આ વિમાન દુર્ઘટનામાં મૃતદેહોની ઓળખ કરવા માટે મેડિકલ અને એક્સ-રે રેકોર્ડ લાવવા માટે કહેવામાં આવ્યું છે. વધુમાં ઓળખના પ્રયાસોમાં મદદ કરવા માટે પીડિતોના સંબંધીઓના રક્ત પરીક્ષણો પણ કરવામાં આવી રહ્યા છે.
ફ્રાન્સની એરબસ અને ઈટાલીની લિયોનાર્ડો સ્પા વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા એટીઆર 72 બનાવવામાં આવે છે, સામાન્ય રીતે ટૂંકી ફ્લાઈટમાં ઉપયોગમાં લેવાય છે. એવિએશન સેફ્ટી નેટવર્કના ડેટાબેઝ મુજબ 1990ના દાયકાથી એટીઆર 72 એરક્રાફ્ટના અકસ્માતમાં 470 લોકોના મોત થયા છે.
Image – X


