- ગાઝામાં યુદ્ધને 10 મહિનામાં 40 હજાર કરતાં વધુ લોકોનાં મોત થયા
- ઈઝરાયલના ઘણા શહેરોમાં નેતન્યાહૂ વિરુદ્ધ પ્રદર્શનો યોજાયા
- ગાઝામાં યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ અને નેતન્યાહૂના રાજીનામાની માંગ તેજ
ગાઝા યુદ્ધને 10 મહિના વીતી ગયા છે. આ યુદ્ધમાં 40 હજાર કરતાં વધુ લોકોનાં મોત થઈ ગયા છે. વિશ્વના સૌથી મોટી શક્તિશાળી દેશા યુદ્ધવિરામના પ્રયાસમાં લાગ્યા છે પરંતુ અત્યાર સુધી હમાસ અને ઈઝરાયલ વચ્ચે કોઈ સંધિ કે પોઝિટિવ વાત નથી થઈ શકી. જેથી સીઝ ફાયર અને બંધકોની મુક્તિ માટે ઈઝરાયલમાં જ બેંઝામિન નેતન્યાહૂની સરકાર વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે.
ઈઝરાયલની રાજધાની એવા તેલ અવીવ શહેરમાં પ્રદર્શન કરી રહેલા વિરોધીઓએ બંધકોની મુક્તિ માટે વહેલા કરારની માંગ કરી હતી. કેટલાક દેખાવકારોએ ધમકી આપી હતી કે જો તેઓ રાજીનામું નહીં આપે તો નેતન્યાહૂને મારી નાખવામાં આવશે. ગાઝામાં બંધક બનાવવામાં આવેલા લોકોના પરિવારોએ શનિવારે તેલ અવીવમાં પ્રદર્શન કર્યું, સરકારને બંધકોને મુક્ત કરવા માટે પગલાં લેવાની માંગ કરી હતી.
નિર્ણાયક તબક્કે ઈઝરાયલ
તેલ અવીવમાં સુરક્ષા મંત્રાલયની સામે પ્રદર્શન કરી રહેલા દેખાવકારોએ કહ્યું કે ઈઝરાયલ નિર્ણાયક તબક્કે છે, કાં તો બંધકો માટે ડીલ થશે અથવા તો યુદ્ધ વધુ ફેલાશે. આ સિવાય હાઈફા અને કાર્મિલમાં પણ કેદીઓની અદલાબદલી માટે દેખાવો યોજાયા હતા. વિરોધીઓનું કહેવું છે કે મંત્રી બેન-ગવીર બંધકોને મુક્ત કરવામાં નિષ્ફળ રહ્યા છે.ઈઝરાયલ દેશના વિપક્ષી નેતા બેની ગેંટઝે ચેતવણી આપી છે કે હમાસ દ્વારા બંધક બનાવેલા લોકોની પાસે હવે સમય નથી બચ્યો. બેની ગેંટઝે ભાર પૂર્વક કર્યું કે સરકારે હમાસની સાથે બંધકોની મુક્તિ માટે જલ્દી કરાર કરવો જોઈએ.
બંધકોનો જીવ જઈ શકે છે
ઈઝરાયલી સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ તાજેતરમાં નેતન્યાહૂને જાણ કરી કે કોઈ પણ ડીલ કરવા માટેનો સમય સમાપ્ત થઈ રહ્યો છે. મોસાદના અધિકારીઓએ નેતન્યાહૂને આ જાણકારી ઈરાન પ્રોક્સીના સંભવિત હુમલાથી બચવાની તૈયારીઓને લઈ બોલાવેલી એક બેઠકમાં આપી છે. તેઓએ ચેતવણી આપી કે બેઠકોના દોરમાં અડગ વલણ બંધકોનો જીવ લઈ શકે છે. જેથી વાત હવે ગંભીર બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સાતમી ઑક્ટોબરે થયેલા હમાસના હુમલામાં 250 ઈઝરાયલીઓને હમાસે બંધક બનાવ્યા હતા. આ બંધકોમાંથી મહિલાઓ, બીમાર અને વૃદ્ધોને પહેલાં બે કરારમાં છોડી દેવામાં આવ્યા છે પરંતુ ડઝન બંધકો હજી હમાસના સકંજામાં છે.


