- ઈમિગ્રેશન સિસ્ટમની સુરક્ષા જાળવવા માટે આ પોલિસીનો અમલ કરવામાં આવ્યો છે
- 28 ઓગસ્ટ પહેલા કરવામાં આવેલી અરજીઓને લાભ થશે
- આ સિવાય કેનેડાએ અન્ય કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે
કેનેડાની નવી નીતિ હેઠળ વિઝિટર વિઝા પરના લોકો હવે દેશની અંદરથી વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં. આ નીતિ ઓગસ્ટ 2020 માં કોવિડ મહામારી દરમિયાન બનાવવામાં આવી હતી. તે સમયે, સમગ્ર દુનિયામાં સરહદો બંધ હતી અને ઘણા લોકો તેમના દેશોમાં પાછા જવા માટે સક્ષમ ન હતા.
આ રીતે અરજી કરી શકાશે નહીં
આ નીતિ હેઠળ, ટ્રાવેલ વિઝા પર આવતા લોકો કેનેડા છોડ્યા વિના કેનેડા વર્ક પરમિટ માટે અરજી કરી શકે છે. જેમની પાસે પાછલા 12 મહિનામાં વર્ક પરમિટ હતી અને જેમણે પોતાની સ્થિતિ બદલીને “વિઝિટ” કરી લીધી હતી, તેઓ પણ નવી વર્ક પરમિટની રાહ જોતી વખતે કાયદેસર રીતે કામ કરી શકતા હતા.
ઈમિગ્રેશન સિસ્ટમની સુરક્ષા જાળવવા માટે આ પોલિસીનો અમલ
આ નીતિ 28 ફેબ્રુઆરી 2025 સુધી અમલમાં રહેવાની હતી, પરંતુ હવે તેને નાબૂદ કરવામાં આવી છે. ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) કહે છે કે આ પગલું અસ્થાયી નિવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા અને ઈમિગ્રેશન સિસ્ટમની સુરક્ષા જાળવવા માટે છે.
28 ઓગસ્ટ પહેલા કરવામાં આવેલી અરજીઓને થશે લાભ?
કેનેડાએ કહ્યું છે કે 28 ઓગસ્ટ પહેલા કરવામાં આવેલી અરજીઓ હજુ પણ આ જ પ્રક્રિયા હેઠળ પૂર્ણ કરવામાં આવશે. પોલિસી વહેલા સમાપ્ત કરવા પાછળનું કારણ એ છે કે કેટલાક લોકો આ પોલિસીનો ફાયદો ઉઠાવી વિદેશી નાગરિકોને કેનેડામાં પરવાનગી વગર કામ કરવા માટે ગેરમાર્ગે દોરતા હતા.
નવા નિયમોની કરી જાહેરાત!
આ નીતિના અંત સાથે, કેનેડાએ અસ્થાયી વિદેશી કામદારોને લગતા કેટલાક નવા નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. 26 ઓગસ્ટના રોજ, કેનેડા સરકારે જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બર, 2024 થી કેટલાક ઓછા વેતનના અરજદારો માટે લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) પ્રક્રિયા બંધ કરવામાં આવશે. આ એવા વિસ્તારોમાં લાગુ થશે જ્યાં બેરોજગારીનો દર 6% કે તેથી વધુ છે.
કેનેડાએ એ પણ નક્કી કર્યું છે કે નોકરીદાતાઓ તેમના કુલ કાર્યબળના 10% ની હદ સુધી વિદેશી કામદારોને નોકરીએ રાખી શકતા નથી, અને “લો વેઝ” કેટેગરી હેઠળ કામ કરતા કામદારો માટેનો કાર્યકાળ બે વર્ષથી ઘટાડીને એક વર્ષ કરવામાં આવ્યો છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


