અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધેલી નિવૃત્તિ અંગે વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવ પણ સ્તબ્ધ છે અને તેનું માનવું છે કે આ સ્ટાર ઓફ સ્પિનર વિશેષ કરીને ઘરઆંગણે વધારે સારી વિદાયનો હકદાર છે. અશ્વિને કોઇ બાબત અંગે નારાજ હતો તે તેના ચહેરા ઉપરથી દેખાઇ આવતું હતું.
કપિલ દેવે જણાવ્યું હતું કે પ્રશંસકો નિરાશ છે પરંતુ મેં તેના ચહેરા ઉપર પણ નિરાશાના ભાવ જોયા છે. તે વધારે સારી વિદાયનો હકદાર હતો. કપિલ દેવે જણાવ્યું હતું કે હું તેની નિવૃત્તિ અંગેના કારણો જાણવા માગીશ. તે રાહ જોઇ શકતો હતો અને ભારતની ધરતી ઉપર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી શકતો હતો પરંતુ તેણે અચાનક કેમ આ પ્રકારનો નિર્ણય કર્યો તેના મને કારણો સમજાતા નથી. તે સન્માનનો હકદાર હતો. તે દેશ માટે 106 ટેસ્ટ મેચ રમ્યો છે. ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનની કોઇ બરોબરી કરે તેવું મને લાગતું નથી. મને આશા છે કે બીસીસીઆઇ અશ્વિનની શાનદાર વિદાય માટે યોગ્ય મેનેજમેન્ટ કરશે. અશ્વિન અખતરા કરવા માટે સતત તૈયાર રહેતો હતો. તે પોતાની સ્પિડ તથા ચતુરાઇભરી લાઇનલેન્થથી બેટ્સમેનોને સતત પરેશાન કરતો રહેતો હતો.


