અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ તોડનારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મૂર્તિ તોડનારા આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે કરી છે.
મૂર્તિની તોડફોડ કરવામાં 4 શખ્સોની સંડોવણી સામે આવી: JCP
તમને જણાવી દઈએ કે આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે પત્રકાર પરિષદમાં કહ્યું કે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિની તોડફોડ કરવામાં 4 શખ્સોની સંડોવણી સામે આવી છે. ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની તોડફોડ કરી હતી. પ્રતિમામાં તોડફોડ મુદ્દે લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. 23 ડિસેમ્બરે વહેલી સવારે મૃર્તિમાં તોડફોડ કરવાનો બનાવ બન્યો હતો અને આ બાબતે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
વધુમાં ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘવે કહ્યું કે આરોપીઓ 2 સ્કુટી પર આવ્યા હતા અને આ આરોપીઓને ઝડપી લેવા માટે 1,000થી વધુ CCTV ચેક કરવામાં આવ્યા છે અને આખરે મેહુલ અને ભોલા ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીઓ અસલાલી પાસેથી ઝડપાયા છે. ત્યારે અન્ય આરોપીઓ ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોર હાલમાં ફરાર છે. તમને જણાવી દઈએ કે નાડીયા સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે 2018થી ઝઘડો ચાલી રહ્યો છે અને આ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્યારે આ આરોપીઓને ઉશ્કેરવા પાછળ કોનો હાથ છે તે બાબતે તપાસ ચાલુ છે.


