વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તરાખંડમાં 38માં રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલા અલ્મોરાના રહેવાસી ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને વડાપ્રધાનને રાષ્ટ્રીય રમતોની તેજસ્વીની મશાલ સોંપી હતી. રાષ્ટ્રીય રમતોમાં લગભગ 10,000 ખેલાડીઓ 32 રમતોમાં મેડલ જીતવા માટે પડકાર ફેંકશે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે દેશમાં રમતગમતનો એક સુંદર ગુલદસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં દરેક ઋતુમાં ફૂલો ખીલે છે અને ટુર્નામેન્ટ સતત યોજાતી રહે છે.
ખેલાડીઓ માટે વધુને વધુ તકો ઉભી કરવામાં આવી રહી છે
દેહરાદૂન ખાતે 38માં રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હોકીના જૂના ભવ્ય દિવસો પાછા ફરી રહ્યા છે. આપણી ખો-ખો ટીમે વર્લ્ડ કપ જીત્યો છે. ગુકેશે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. જ્યારે કોઈ દેશ રમતગમતમાં પ્રગતિ કરે છે, ત્યારે દેશની વિશ્વસનીયતા અને પ્રોફાઈલ પણ વધે છે. અમે ખેલાડીઓ માટે વધુને વધુ તકો ઉભી કરી રહ્યા છીએ, જેથી તેઓ તેમની ક્ષમતાઓમાં વધુ વધારો કરી શકે.
ભારતમાં રમતગમત એક મુખ્ય કારકિર્દી વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે
પીએમએ વધુમાં કહ્યું કે આ સફળતા દર્શાવે છે કે ભારતમાં રમતગમત હવે કોઈ અભ્યાસેતર પ્રવૃત્તિ નથી રહી, પરંતુ તે એક મુખ્ય કારકિર્દી વિકલ્પ તરીકે ઉભરી આવી છે. જેમ આપણા ખેલાડીઓ મોટા લક્ષ્યો સાથે આગળ વધે છે, તેમ આપણો દેશ પણ મોટા સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ભારત 2036 ઓલિમ્પિકનું આયોજન કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે અને જ્યારે ઓલિમ્પિક ભારતમાં થશે, ત્યારે તે ભારતીય રમતોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમણે કહ્યું કે અહીં ઘણા રેકોર્ડ તૂટશે, નવા રેકોર્ડ પણ બનશે પરંતુ આ રાષ્ટ્રીય રમતો માત્ર એક રમતગમત સ્પર્ધા નથી, પરંતુ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ માટે એક મજબૂત પ્લેટફોર્મ છે. તમારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે તમારો મેડલ ભારતની એકતા અને શ્રેષ્ઠતાની ચમકને પ્રતિબિંબિત કરે. સ્વસ્થ શરીર જ સ્વસ્થ મન અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.
UCC લાગુ કરવા બદલ ધામી સરકારને આપ્યા અભિનંદન
વડાપ્રધાને યુસીસી લાગુ કરવા બદલ ઉત્તરાખંડ સરકારને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે હું ઉત્તરાખંડની ભાજપ સરકારને આ ઐતિહાસિક પગલા માટે અભિનંદન આપું છું. પીએમએ યુસીસીને ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા તરીકે પણ વર્ણવ્યું અને કહ્યું કે આ કાયદો આપણી દીકરીઓ, માતાઓ અને બહેનોના ગૌરવપૂર્ણ જીવનનો આધાર બનશે અને બંધારણની ભાવના પણ મજબૂત થશે.


