ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની છેલ્લી મેચ આજે એટલે કે 2 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 3-1 ની અજેય લીડ જાળવી રાખી છે.
આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ બેટિંગમાં સૂર્યાનું પ્રદર્શન આ સિરીઝમાં કંઈ ખાસ રહ્યું નથી. પરંતુ હવે સિરીઝની છેલ્લી મેચમાં, સૂર્યકુમાર યાદવ પાસે T20 ક્રિકેટમાં ઈતિહાસ રચવાની તક છે.
T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 150 છગ્ગા
આ વર્ષ સૂર્યકુમાર યાદવ માટે T20 ક્રિકેટમાં અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ભલે ગયા વર્ષ તેમના માટે સારું રહ્યું, પરંતુ ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝમાં તેમનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. હવે સૂર્યા પાસે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. સૂર્યા સૌથી ઓછી ઈનિંગ્સમાં 150 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની શકે છે.
અત્યાર સુધીમાં આ ખેલાડીએ 82 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 146 છગ્ગા ફટકાર્યા છે. હવે જો સૂર્યકુમાર આજની મેચમાં 4 છગ્ગા ફટકારવામાં સફળ રહે છે, તો તે સૌથી ઓછી T20 ઈનિંગ્સમાં 150 છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બનશે.
રોહિત શર્માએ હાંસિલ કરી છે આ સિદ્ધિ
હાલમાં, સૌથી ઓછી ઈનિંગ્સમાં 150 T20 આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલના નામે છે. જેને 105 T20 મેચમાં 150 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્માએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 છગ્ગા ફટકાર્યા છે. રોહિતે આ સિદ્ધિ 119 મેચમાં મેળવી હતી. પરંતુ રોહિતે 2024ના T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
ઈંગ્લેન્ડ સામે સૂર્યકુમારનું ખરાબ પ્રદર્શન
અત્યાર સુધી કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ઈંગ્લેન્ડ સામે પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. 4 મેચમાં તેના બેટમાંથી ફક્ત 26 રન જ આવ્યા છે. સૂર્યા સિરીઝમાં બે વાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. પરંતુ હવે ફેન્સ સિરીઝની છેલ્લી મેચમાં આ ખેલાડી પાસેથી શાનદાર ઈનિંગ્સની અપેક્ષા રાખશે.


