રવિવારે કટકના બારાબતી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામેની બીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝ જીતી લીધી. ફ્લડલાઈટ્સ બંધ થઈ જવાને કારણે મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. આના કારણે ખેલાડીઓ તેમજ ફેન્સને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
ઓડિશા સરકારે આ સમગ્ર મામલે ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA) ને પૂછપરછ કરી છે અને લેખિતમાં સમજૂતી પણ માંગી છે.
મેચમાં જ્યારે ફ્લડલાઈટ્સ બંધ થઈ ગઈ ત્યારે ટીમ ઈન્ડિયાએ 6.1 ઓવરમાં કોઈ પણ નુકસાન વિના 48 રન બનાવી લીધા હતા. ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ-કેપ્ટન શુભમન ગિલ ક્રીઝ પર હતા. ફ્લડલાઈટ્સ બંધ થયા પછી બંને ભારતીય બેટ્સમેન ઈંગ્લેન્ડ ટીમ સાથે ડગઆઉટમાં ગયા. રિપોર્ટ મુજબ સમસ્યા એક જનરેટરમાં હતી જે છ લાઈટમાંથી એકને પાવર આપી રહ્યો હતો. આ કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી.
ઓડિશા સરકારે માંગ્યો જવાબ
આ ઘટના બાદ ઓડિશા સરકારનો રમતગમત વિભાગ હરકતમાં આવ્યો છે. સરકારે OCAને લખેલા પત્રમાં કહ્યું કે ‘આવું કેમ થયું અને તેના માટે કોણ જવાબદાર છે તે અંગે અમે વિગતવાર સમજૂતી માંગીએ છીએ.’ સરકારે ભવિષ્યમાં આવી સમસ્યાઓ કેવી રીતે ટાળી શકાય તે જાણવા પર પણ ભાર મૂક્યો. OCAને દસ દિવસમાં આ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ કારણે મામલો વધ્યો
આ ઘટનાએ રાજકીય હોબાળો પણ મચાવ્યો, રાજ્યના વિપક્ષી પક્ષ બીજુ જનતા દળ (BJD) એ આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવામાં ભાજપ સરકારની ગંભીરતા પર સવાલ ઉઠાવ્યા. હવે બધાને ઉત્સુકતા છે કે આ સમગ્ર મામલે OCA આગળ શું પગલું ભરશે. ફેન્સને આશા છે કે ભવિષ્યની મેચોમાં વધુ સારી વ્યવસ્થા કરવામાં આવશે જેથી મેચ કોઈપણ વિક્ષેપ વિના યોજાઈ શકે.


