ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના એક બ્લોકબસ્ટર મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધુ છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 242 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. વિરાટ કોહલીએ દમદાર શતક ફટકારીને લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. ત્યારે મેચમાં ભારતીય ટીમની જીત બાદ પાકિસ્તાન કેપ્ટન મહોમ્મદ રિઝવાનનું દર્દ છલકાયુ છે.
પાકિસ્તાન ટીમના કેપ્ટન શું બોલ્યા ?
પાકિસ્તાની ટીમની હારથી કેપ્ટન મોહમ્મદ રિઝવાન ખૂબ જ નિરાશ દેખાતા હતા. તેણે જણાવ્યું કે હવે તેમની ટીમ માટે કંઇ બચ્યુ નથી. તેમની ટીમનુ અભિયાન એક રીતે પૂર્ણ થઇ ગયુ છે. આ સાથે જ રિઝવાનએ સદી ફટકારનાર વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કોહલીની ફિટનેસ અને શિસ્ત પ્રશંસાને પાત્ર છે.
તેણે વધુમાં કહ્યું કે હવે અમારે બીજી મેચોના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. એક મેચ બાકી છે. એક કેપ્ટન તરીકે, મને આવી પરિસ્થિતિઓ પસંદ નથી. આપણું ભાગ્ય આપણા પોતાના હાથમાં હોવું જોઈએ. તેમણે આ જીતનો શ્રેય ભારતને આપ્યો હતો..ખાસ કરીને વિરાટ કોહલીને, જેણે પોતાની 51મી ODI સદી ફટકારી હતી.
પાકિસ્તાની કેપ્ટને વિરાટના કર્યા વખાણ
મોહમ્મદ રિઝવાને કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે તે એટલી મહેનત કરે છે કે મને તે જોઈને આશ્ચર્ય થાય છે.’ આખી દુનિયા કહી રહી હતી કે તે ફોર્મમાં નથી, પણ તેણે આટલી મોટી મેચમાં ખૂબ આરામથી રન બનાવ્યા. તેની ફિટનેસ અને શિસ્ત પ્રશંસનીય છે. અમે તેને આઉટ કરવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ આઉટ ન કરી શક્યા. આ પરિણામથી અમે નિરાશ છીએ. અમે બધા વિભાગોમાં ભૂલો કરી અને વચ્ચેની ઓવરોમાં વિકેટ લઈ શક્યા નહીં.
અમારે ફિલ્ડિંગ સુધારવાની જરૂર
રિઝવાને આગળ કહ્યું, ‘અમે ટોસ જીત્યો, પણ ટોસનો ફાયદો મળ્યો નહીં.’ અમને લાગ્યું કે આ પીચ પર 280નો સ્કોર સારો રહેશે. તેમના બોલરોએ વચ્ચેની ઓવરોમાં ખૂબ સારી બોલિંગ કરી અને અમારી વિકેટો લીધી. મેં અને સઈદ શકીલે સમય લીધો કારણ કે અમે તેને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હતા. ખરાબ શોટ પસંદગીને કારણે અમારા પર દબાણ આવ્યું અને તેથી અમે 240 રનમાં ઓલઆઉટ થઈ ગયા.
રિઝવાને કહ્યું કે જ્યારે પણ તમે હારશો, તેનો અર્થ એ છે કે તમે બધા વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું નથી. અમે તેઓ પર પ્રેશર બનાવવા માગતા હતા. પરંતુ અમે તેમ કરી શક્યા નહીં. અબરારએ અમને એક વિકેટ અપાવી, પણ બીજા છેડે તેણે બીજા બોલરોને ખૂબ સારી રીતે રમ્યા. અમારે ફિલ્ડિંગમાં સુધારો કરવાની જરૂર છે.


