પાકિસ્તાને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પોતાની ODI અને T20 ટીમની જાહેરાત કરી દીધી છે. સલમાન આગાને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમની કમાન સોંપવામાં આવી છે. મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમને T20માં સામેલ કરવામાં આવ્યા નથી.
ODI ટીમની કમાન મોહમ્મદ રિઝવાનના હાથમાં રહે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ રીતે ફ્લોપ થયેલા શાહીન શાહ આફ્રિદીને ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પાકિસ્તાને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર પાંચ T20 અને ત્રણ વનડે મેચની સિરીઝ રમવાની છે.
પાકિસ્તાનને મળ્યો નવો કેપ્ટન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના શરમજનક પ્રદર્શન બાદ, ટીમને T20 ફોર્મેટમાં નવો કેપ્ટન મળ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની સિરીઝ માટે મોહમ્મદ રિઝવાનના સ્થાને સલમાન આગાને ટીમની કમાન સોંપવામાં આવી છે. શાદાબ ખાનને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. રિઝવાન અને બાબરને T20 ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. પાકિસ્તાને T20 સિરીઝ માટે યુવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે. નસીમ શાહને પણ T20 ટીમમાં તક આપવામાં આવી નથી. હેરિસ રૌફને બંને ટીમોમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
વનડેમાં રિઝવાન કરશે કેપ્ટનશીપ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમના શરમજનક પ્રદર્શન છતાં, સિલેકટર્સ ODI ફોર્મેટમાં કેપ્ટન તરીકે રિઝવાન પર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. સલમાન આગાને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. મોહમ્મદ વસીમ જુનિયર અને મોહમ્મદ ઈરફાન ખાનને વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સુફિયાન મુકીમ અને તૈયબ તાહિર પણ ODI ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.
પીસીબીએ કહ્યું કે ફખર ઝમાન અને સૈમ અયુબ ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી. પાકિસ્તાન ટીમ પાંચ મેચની T20 સિરીઝ સાથે પ્રવાસની શરૂઆત કરશે. સિરીઝની પહેલી મેચ 16 માર્ચે અને બીજી મેચ 18 માર્ચે રમાશે. ત્રીજી મેચ 21 માર્ચે ઓકલેન્ડમાં અને ચોથી મેચ 23 માર્ચે રમાશે. સિરીઝની છેલ્લી મેચ 26 માર્ચે રમાશે. વનડે સિરીઝ 29 માર્ચથી શરૂ થશે, જ્યારે છેલ્લી મેચ 5 એપ્રિલે રમાશે.


