વડાપ્રધાન મોદી બે દિવસ માટે મોરેશિયસની યાત્રાએ ગયા છે. અહીં તેઓ ત્યાંના 12 માર્ચે યોજાતા રાષ્ટ્રીય દિવસમાં ભાગ લઈને ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત થઈ હતી ત્યારે ગુજરાત અને મોરેશિયસ વચ્ચેના ઘણા રસપ્રદ જોડાણો જાણવા મળ્યા છે. મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે એક ઘટનાનું વર્ણન કરીને ગુજરાતના સંબંધો વિશે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે મોરેશિયસના ઘડવૈયા ગણાતા અને પ્રથમ વડાપ્રધાન સર સીવુસાગુર રામગુલામે એક વખત ઉલ્લેખ કર્યો હતો કે વિઠ્ઠલભાઈ પટેલ તેમના માર્ગદર્શક હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સભાના પ્રથમ અધ્યક્ષ સર હરિલાલ વાઘજી ગુજરાતી મૂળના હતા. ઓક્ટોબર 1901માં મહાત્મા ગાંધીજીએ ડરબનથી મુંબઈ જતી વખતે મોરેશિયસની મુલાકાત લીધી હતી અને ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા હતા.
ગાંધીજીની સલાહ પર, મણિલાલ મગનલાલ ડૉક્ટર મોરેશિયસ ગયા હતા અને તેમની સ્વતંત્રતા ચળવળને સમર્થન આપવા માટે ત્યાં ઘણો સમય વીતાવ્યો હતો. મોરેશિયસમાં સમુદાયને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, મોરેશિયસ ભારતના પશ્ચિમી પ્રદેશોમાં ખાંડની સપ્લાય કરે છે, કદાચ એ જ કારણ છે કે ગુજરાતીમાં તેને ‘મોરાસ’ કહેવામાં આવે છે.


