પેરુની હિંસાએ ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. રાજધાની લીમામાં લોહિયાળ હિંસાને જોતા રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. જેથી બગડતી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. તમને જણાવી દઈએ કે લોકપ્રિય ગાયકની હત્યાના એક દિવસ બાદ શરૂ થયેલી વ્યાપક હિંસા વચ્ચે રાષ્ટ્રપતિએ સોમવારે રાજધાનીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી અને હિંસાની વધતી ઘટનાઓ સામે પોલીસને મદદ કરવા માટે સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.
રાષ્ટ્રપતિએ 30 દિવસની કટોકટી લગાઈ
પેરુવિયન રાષ્ટ્રપતિ દિના બોલ્યુર્ટેની સરકારે આદેશ જારી કરીને કહ્યું કે કટોકટીની સ્થિતિ 30 દિવસ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન મેળાવડા અને વિરોધ સહિત વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. એટલે કે પોલીસ અને સેના ન્યાયિક આદેશ વિના લોકોને અટકાયતમાં લઈ શકે છે. પેરુમાં તાજેતરના મહિનાઓમાં જાહેર સ્થળોએ હત્યા, છેડતી અને હુમલાના કેસમાં વધારો થયો છે.
હત્યા અને ખંડણીના કેસમાં મોટો વધારો
પેરુની હિંસાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે 1 જાન્યુઆરીથી 16 માર્ચ સુધીમાં પોલીસે હત્યાના 459 કેસ નોંધ્યા હતા, જ્યારે એકલા જાન્યુઆરી મહિનામાં જ ખંડણીના 1,909 કેસ નોંધાયા હતા. રવિવારે પ્રખ્યાત બેન્ડ ‘આર્મોનિયા 10’ના લીડ સિંગર પોલ ફ્લોરેસની હત્યા બાદ હિંસાની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી હતી. બોલ્યુઆર્ટ સરકારે અગાઉ સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.


