આઈપીએલ પછી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝ પહેલા બધાની નજર રોહિત શર્મા પર છે. મીડિયા રિપોર્ટ મુજબ, રોહિત શર્મા તેના ખરાબ ફોર્મને કારણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તેને આ નિર્ણય પોતે લીધો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલી ટીમમાં રહે તેવી શક્યતા સૌથી વધુ છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની ત્રણ મેચમાં ફક્ત 31 રન બનાવ્યા હતા અને સિડની ટેસ્ટમાંથી પોતાને બહાર કરી દીધો.
ઘણા ખેલાડીઓ A સિરીઝનો બની શકે છે ભાગ
ટેસ્ટ સિરીઝની તૈયારી માટે મે-જૂનમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે ચાર-દિવસીય મેચ રમનારી ‘એ’ ટીમમાં કેટલાક મુખ્ય ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. ભારત 20 જૂને હેડિંગ્લી ખાતે પ્રથમ ટેસ્ટ મેચ સાથે પ્રવાસની શરૂઆત કરશે. ટીમનો ઉદ્દેશ્ય 2007 પછી પહેલી વાર ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાનો રહેશે.
ECB એ જાહેર કર્યું નિવેદન
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ જણાવ્યું હતું કે પ્રથમ ચાર દિવસીય મેચ 30 મેથી કેન્ટરબરીના સેન્ટ લોરેન્સના સ્પિટફાયર ગ્રાઉન્ડ પર રમાશે. બીજી મેચ 6 જૂને નોર્થમ્પ્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે. હાલમાં, બધા ભારતીય ક્રિકેટરો પોતપોતાની IPL ટીમો સાથે સંકળાયેલા છે કારણ કે લીગની નોકઆઉટ મેચો 20, 21 અને 23 મે ના રોજ યોજાશે, જ્યારે ફાઈનલ 25 મે ના રોજ રમાશે.
કરુણ નાયરને મળી શકે છે તક
કરુણ નાયર ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં જોડાઈ શકે છે. તેને 2024-25ની સ્થાનિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. રણજી ટ્રોફીમાં, તેને 9 મેચોમાં 54 ની એવરેજથી 863 રન બનાવ્યા, જેમાં 4 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમના શાનદાર પ્રદર્શનને કારણે, વિદર્ભે ફાઈનલમાં કેરળને હરાવીને ત્રીજી વખત રણજી ટ્રોફી જીતી.
એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “ટીમની જાહેરાત માટે હજુ ઘણો સમય બાકી છે. આ નિર્ણય આઈપીએલ નોકઆઉટ મેચો પહેલા અથવા તેના પછી તરત જ લેવામાં આવશે. ત્યાં સુધીમાં એ પણ સ્પષ્ટ થઈ જશે કે કયા ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે.”


