સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025 માં પોતાનું હોમ ગ્રાઉન્ડ બદલવાની ધમકી આપી છે. SRH ફ્રેન્ચાઈઝ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ટિકિટના વેચાણને લઈને આમને-સામને છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ મેનેજરે HCAના ખજાનચી સીજે શ્રીનિવાસને એક પત્ર લખ્યો હતો જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે SRH ટીમ કોઈપણ સંજોગોમાં HCAના હસ્તક્ષેપને સહન કરશે નહીં. આ પત્રમાં, HCA પ્રમુખ જગન મોહન રાવને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ સનરાઈઝર્સ હૈદરાબાદે દાવો કર્યો હતો કે HCA અધિકારીઓનું ખરાબ વર્તન વર્ષ 2024 માં શરૂ થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે SRH vs LSG મેચ 27 માર્ચ, ગુરુવારના રોજ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ VIP બોક્સ બુક કરાવ્યું હતું.
HCA નિયમોનું કરી રહ્યું છે ઉલ્લંઘન
સનરાઈઝર્સ હૈદરાબાદે અનેક હિસ્સેદારો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ટીમે લાભાર્થીઓને 3,900 ટિકિટ પૂરી પાડવાની રહેશે. આમાંથી, VIP બોક્સની 50 ટિકિટ HCA ને ફાળવવામાં આવી છે, પરંતુ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને બીજા VIP બોક્સમાં પણ 20 ટિકિટની માંગણી કરી હતી. જ્યારે આ માંગણી નકારી કાઢવામાં આવી, ત્યારે એવું કહેવામાં આવ્યું કે લખનૌ સુપર જાયન્ટ્સ સાથેની મેચ દરમિયાન VIP બોક્સને ઘેરી લેવામાં આવ્યું હતું.
હોમ ગ્રાઉન્ડ કરી દેશે શિફ્ટ!
સનરાઈઝર્સ હૈદરાબાદના મેનેજરે જણાવ્યું હતું કે HCA પ્રમુખે ટીમ સ્ટાફને ઘણી વખત ધમકી આપી છે. મેનેજરે કહ્યું કે આ પહેલી વાર નથી જ્યારે મફત ટિકિટો માટે તેમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હોય. ખજાનચીને લખેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે SRH ટીમ તેનું હોમ ગ્રાઉન્ડ બદલી શકે છે અને જો HCAનું વર્તન બદલાશે નહીં, તો આ સંદર્ભમાં BCCI ને ફરિયાદ કરવામાં આવશે.


