ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સિઝનનો ઉત્સાહ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. 30 માર્ચ સુધી તો 11 મેચ રમાઈ ચૂકી છે. આ દરમિયાન એક વસ્તુ જે સૌથી વધુ ટ્રેન્ડિંગ અને ચર્ચામાં રહી છે તે છે 43 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીનો બેટિંગ ક્રમ.
નીચલા ક્રમે બેટિંગ કરવા કેમ આવે છે?
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમને પાંચ વખત ટાઇટલ જીત અપાવનાર ભૂતપૂર્વ કેપ્ટન ધોની આ સિઝનમાં નીચલા ક્રમમાં બેટિંગ કરવા આવી રહ્યો છે. ક્યારેક તે 8મા નંબરે બેટિંગ કરે છે, અને ક્યારેક 9મા નંબરે. તેનું પરિણામ ટીમ ભોગવી રહી છે. આવુ થવાનું કારણ શું છે તે વિશે કોચએ સ્પષ્ટતા કરી છે.
ચેન્નાઈની ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે. જેમાંથી તેણે ફક્ત એક જ મેચ જીતી છે. તે બે મેચમાં હારી ગયો છે. ધોનીએ આ ત્રણેય મેચમાં 46 રન બનાવ્યા છે. આમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 30 રન અણનમ રહ્યું. આ બધા વચ્ચે, ચાહકો જાણવા માટે ઉત્સુક હશે કે ધોની આટલા નીચલા ક્રમે બેટિંગ કરવા કેમ આવી રહ્યો છે?
હવે આનો જવાબ ચેન્નાઈ ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે આપ્યો છે. પીટીઆઈ અનુસાર ફ્લેમિંગે કહ્યું છે કે ધોની હાલમાં ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો છે. તેની ઈજા સંપૂર્ણપણે મટી નથી. આ જ કારણ છે કે ધોની માટે 10 ઓવર સુધી બેટિંગ કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ધોની ઓવરો પ્રમાણે બેટિંગ કરવા આવે છે.
બે મેચમાં ન અપાવી શક્યો જીત
મહત્વનું છે કે ચેન્નઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) સામે છેલ્લી 2 મેચ હારી છે. આરસીબી સામેની મેચમાં ધોની 9મા નંબરે અને રાજસ્થાન સામે 7મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. ચેન્નઈને રાજસ્થાન સામે સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. આ પછી કોચ ફ્લેમિંગે એ હકીકતને સંપૂર્ણપણે નકારી કાઢી છે કે ધોની ટીમ પર બોજ બની ગયો છે. તેણે કહ્યું છે કે તે ફ્રેન્ચાઇઝનો સૌથી મૂલ્યવાન ખેલાડી છે.


