પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ એક્ટ 2025 પર થયેલી હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ કેસની સુનાવણી આગામી 21 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં થશે. આ સંવેદનશીલ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની 2 સભ્યોની બેન્ચ દ્વારા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મુર્શિદાબાદ હિંસામાં કુલ 3 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકોને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી હતી. રાહત શિબિરોમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ રહી રહ્યા છે.
મહિલાઓ સાથે અસામાજિક તત્વોએ ખરાબ વ્યવહાર કર્યો
આ અરજી શશાંક શેખર ઝા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. વકફ સુધારા બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા પછી કેટલાક અસામાજિક તત્વોએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તોડફોડ અને આગચંપી શરૂ કરી હતી અને રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનોમાં પણ આગ લગાવી દીધી હતી. ત્યારે આ તત્વોએ ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર પણ કર્યા હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યા છે.
કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી
ત્યારે આ હિંસાને કાબુમાં લેવા માટે કેન્દ્રીય દળોની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી અને સુરક્ષા દળો તૈનાત થયા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી, હાલમાં મુર્શિદાબાદમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ હિંસામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ હવે રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે સરકારે તેમના વિસ્તારમાં BSF કેમ્પ સ્થાપવો જોઈએ, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.
વિપક્ષે સરકાર સામે લગાવ્યો ગંભીર આરોપ
વિપક્ષી પક્ષો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો નથી. ભાજપે હિંસાને સરકારની નિષ્ફળતા ગણાવી છે અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી હસ્તક્ષેપની માગણી કરી છે. ત્યારે બીજી તરફ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે પરિસ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. હવે બધાની નજર 21 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં યોજાનારી સુનાવણી પર ટકેલી છે. ત્યારે 21 એપ્રિલે કોર્ટ શું કહે છે તે જોવું રહ્યું.