અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વાન્સ સોમવારે 21 એપ્રિલે ભારતના પ્રવાસ આવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસને લઈને હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે રાત્રિભોજન પણ કરશે. આ પહેલા, વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે વેપાર, ટેરિફ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે.
કયા કયા ફરશે વાન્સનો પરિવાર?
તમને જણાવી દઈએ કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, તેમની પત્ની ઉષા અને તેમના ત્રણ બાળકો, ઈવાન, વિવેક અને મીરાબેલ, ભારતની ચાર દિવસની મુલાકાત દરમિયાન સોમવારે સવારે 10 વાગ્યે પાલમ એરબેઝ પર પહોંચશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રી તેમના આગમન પર તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ વાન્સ અને તેમનો પરિવાર જયપુર અને આગ્રાની પણ મુલાકાત કરશે. આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ વાન્સની સાથે પેન્ટાગોન અને વિદેશ વિભાગના લોકો સહિત ઓછામાં ઓછા 5 વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે ભારતની મુલાકાત કરશે.
અક્ષરધામ મંદિરમાં કરશે દર્શન
ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ દિલ્હી પહોંચ્યા બાદ વાન્સ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ ભારતીય હસ્તકલા ઉત્પાદનો ખરીદવા માટે કોઈ શોપિંગ કોમ્પ્લેક્સમાં પણ જઈ શકે છે. સોમવારે સાંજે 6:30 વાગ્યે, વડાપ્રધાન મોદી જેડી વાન્સ સાથે વાતચીતનું આયોજન કરશે, જેમાં પ્રસ્તાવિત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ભારતીય પ્રતિનિધિમંડળ સાથે પણ કરશે બેઠક
ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી એસ. જયશંકરનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ હાજર રહેશે. વાટાઘાટો પછી વડાપ્રધાન મોદી અમેરિકી પ્રતિનિધિમંડળ માટે રાત્રિભોજનનું આયોજન કરશે. સોમવારે રાત્રે જ વાન્સ અને તેમનો પરિવાર જયપુર જવા રવાના થશે.


