કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ઓમ પ્રકાશની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. હત્યાના આ સમાચારના કારણે હાલમાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને ઓમ પ્રકાશ શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, ડીજીપીની પત્ની પલ્લવી હત્યાની આરોપી છે. પોલીસ આરોપી પત્નીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
પતિ-પત્ની વચ્ચે ઘણા વર્ષોથી મતભેદો હતા
જણાવી દઈએ કે પતિ-પત્ની વચ્ચે ઘણા વર્ષોથી વૈવાહિક જીવનમાં મતભેદો ચાલી રહ્યા હતા અને આ સિવાય પૈસા માટે પણ અવારનવાર ઝઘડા પણ થતા હતા. બંનેને એક દીકરો અને એક દીકરી પણ છે. ઓમ પ્રકાશ 1981 બેચના આઈપીએસ અધિકારી હતા અને બિહારના રહેવાસી હતા. તેઓ 28 ફેબ્રુઆરી, 2015ના રોજ કર્ણાટકના ડીજી અને આઈજીપી બન્યા અને જાન્યુઆરી 2017માં નિવૃત્ત થયા હતા.
1993ના રમખાણોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
તમને જણાવી દઈએ કે પૂર્વ DGP ઓમ પ્રકાશે 1993ના રમખાણોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોમી રમખાણોને નિયંત્રિત કરવામાં તેમની ભૂમિકા પ્રશંસનીય ગણાવામાં આવે છે. બાદમાં તેમણે ડીઆઈજી (વહીવટ), ડીઆઈજી-ઉત્તરીય ક્ષેત્ર, ડીઆઈજી-તાલીમ અને ડીઆઈજી ફાયર બ્રિગેડના હોદ્દા પણ સંભાળ્યા છે અને IGP તરીકે, તેમણે CID અને ટ્રાન્સપોર્ટ કમિશનરની જવાબદારી પણ સંભાળી હતી.