મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, CSK ટીમે પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સે 16મી ઓવરમાં 9 વિકેટ બાકી રહીને પોતાના ઘરઆંગણે મેચ જીતી લીધી.
MI એ હવે જીતની હેટ્રિક ફટકારીને પ્લેઓફ માટે પોતાની આશા મજબૂત કરી છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈની જીતના હીરો હતા, બંનેએ શક્તિશાળી અડધી સદીની ઈનિંગ્સ રમી.
મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ સારી શરૂઆત
177 રનના ટાર્ગેટના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ સારી શરૂઆત કરી. રોહિત શર્મા અને રિયાન રિકલ્ટને 63 રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ તઈ. રિકલ્ટન 24 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરો વિકેટ માટે તરસ્યા. રોહિત અને સૂર્યા વચ્ચે 114 રનની પાર્ટનરશિપ થઈ. સ્પિનરોની નિષ્ફળતા CSK માટે મુશ્કેલીનું મૂળ કારણ બની ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં, સ્પિનરોએ 10 ઓવર ફેંકી હતી પરંતુ માત્ર 1 જ વિકેટ લીધી.
રોહિત અને સૂર્યાએ મચાવી ધૂમ
CSK ની બોલિંગ યુનિટ મુંબઈ ઈન્ડિયન્સના ટોપ ઓર્ડરને ભેદી શકી નહીં. રિયાન રિક્લટન ભલે 24 રન બનાવીને આઉટ થયો હોય, પરંતુ તેના આઉટ થયા પછી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. બંનેએ મળીને 114 રનની પાર્ટનરશિપ કરી. રોહિત અને સૂર્યાની ઈનિંગ્સને જોડીએ તો, બંનેએ મળીને 10 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા. એક તરફ રોહિત શર્માએ 45 બોલમાં અણનમ 76 રન બનાવ્યા, તો બીજી તરફ સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 68 રન બનાવીને ધૂમ મચાવી.
ચેન્નાઈ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ
આ હાર ચેન્નાઈ સુપર કિંગ્સને ભારે પડશે કારણ કે તેમના માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ચેન્નઈએ 8 મેચમાં ફક્ત 2 જીત નોંધાવી છે. જો ધોનીની આગેવાની હેઠળની સીએસકે પ્લેઓફની આશા જીવંત રાખવા માંગે છે, તો તેને આગામી મેચો કોઈપણ કિંમતે જીતવી પડશે. ચેન્નાઈની હારનું એક મોટું કારણ બોલિંગ યુનિટ અને સ્લો બેટિંગ એવરેજ છે. છેલ્લી મેચમાં અંશુલ કંબોજની બોલિંગ શાર્પ દેખાતી હતી, પરંતુ તેને આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.


