જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર પાડોશી દેશ પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે આ (હુમલા) સાથે અમારો કોઈ સંબંધ નથી. અમે તમામ પ્રકારના આતંકવાદની અવગણના કરીયે છીએ.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ અંગે દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. હુમલાના 24 કલાકની અંદર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંપર્ક કર્યો અને આતંકવાદ સામે સહકાર માટે ઊંડી સંવેદના અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
રશિયનું નિવેદન
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલાને “ક્રૂર અને અમાનવીય” ગણાવ્યો અને કહ્યું કે તેનો કોઈ અર્થ નથી. અમને આશા છે કે આ પાછળ સંડોવાયેલા લોકો અને ગુનેગારોને યોગ્ય સજા મળશે. પ્રધાનમંત્રી મોદીને સંબોધતા તેમણે આગળ લખ્યું કે પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી, હું આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવામાં ભારતીય ભાગીદારો સાથે સહયોગ વધારવાની મારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા માંગુ છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી નિષ્ઠાવાન સંવેદના.
ઈઝરાયલનું નિવેદન
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ તેમના સત્તાવાર સંદેશમાં આ હુમલાની કડક નિંદા કરી હતી અને કહ્યું હતું કે, “મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી, પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુઃખી છું.” અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આતંકવાદ સામેની લડાઈમાં ઇઝરાયલ ભારતની સાથે ઉભું છે. આ નિવેદન ફરી એકવાર સાબિત કરે છે કે ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી અને સુરક્ષા સહયોગ કેટલો ઊંડો છે, ખાસ કરીને આતંકવાદ જેવા સામાન્ય ખતરા સામે.
શ્રીલંકાનું નિવેદન
ભારતના પાડોશી દેશ શ્રીલંકાએ પણ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમે પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. શ્રીલંકા આતંકવાદ સામેની લડાઈમાં તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં ભારતની સરકાર અને લોકો સાથે મજબૂત એકતામાં ઉભું છે. અમે પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા પ્રત્યે અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.
નેપાળનું નિવેદન
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના. નેપાળ ભારતની સાથે મજબૂત રીતે ઉભું છે અને આતંકવાદના કોઈપણ અને તમામ કૃત્યોની સખત નિંદા કરે છે. પીડિતોમાં એક નેપાળી નાગરિકના મૃત્યુના અહેવાલોની ચકાસણી કરવા માટે સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.”
ભારતને મળી રહ્યું છે વૈશ્વિક સમર્થન
આ હુમલાની અમેરિકા, ફ્રાન્સ, રશિયા, ઇઝરાયલ, શ્રીલંકા અને ઈરાન જેવા દેશોએ નિંદા કરી છે. તેમણે આતંકવાદ સામે ભારતની સાથે ઊભા રહેવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયનો આ સંયુક્ત ટેકો ભારતની રાજદ્વારી શક્તિને પ્રતિબિંબિત કરે છે અને સૂચવે છે કે વિશ્વ હવે આતંકવાદને મર્યાદિત દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું નથી.


