જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ દુનિયાભરમાં રોષનો માહોલ છે. તમામ દેશ પાકિસ્તાન પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે ભારત સરકારે પોતાનુ આકરુ વલણ દાખવીને પાડોશી દેશ વિરુદ્ધ કડક પગલાં લીધા છે. દેશના તમામ ક્ષેત્રમાંથી માત્ર એક જ માગ ઉઠી રહી છે કે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તો આ તરફ, ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ પણ પ્રહાર કર્યા છે.
સૌરવ ગાંગુલીએ પાકિસ્તાન વિશે શું કહ્યુ ?
ક્રિકેટ જગતના સિતારા પણ આ ઘટનાથી દુઃખી થયા છે. તેઓમાં પણ આક્રોશ દેખાઇ રહ્યો છે. આતંકી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. તો આ તરફ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી આતંકી હુમલાથી ભાવુક થયા છે. અને કડકમાં કડક પગલા લેવા સરકાર સમક્ષ માગ કરી છે. ગાંગુલીએ જણાવ્યુ છે કે, પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડી નાંખવા જોઇએ. કારણ કે દર વર્ષે આ પ્રકારની આતંકી ઘટનાઓ થતી રહે છે. આ કોઇ મજાક નથી ચાલી રહ્યો. આતંકવાદને સહન ન કરવો જોઇએ.
હુમલા બાદ સરકારની કડક કાર્યવાહી
પહેલગામ આતંકી હુમલા બાદ સરકારે પોતાનું આકરુ વલણ દાખવ્યુ છે. ભારત સરકારે અટારી બોર્ડર બંધ કરી છે. તો સાથે જ સિંધુ નદીના પાણી પાકિસ્તાન તરફ જતા રોક્યા છે. આ સિવાય પાકિસ્તાનમાં ભારતીય દુતાવાસ બંધ કરવાનો પણ નિર્ણય પણ કરવામાં આવ્યો છે. અને પાકિસ્તાની નાગરિકોના વિઝા પણ રદ્દ કરવામાં આવ્યા છે.


