ભારત દ્વારા સંભવિત લશ્કરી કાર્યવાહીની આશંકા વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ગભરાટનો માહોલ છે. પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકે ગુરુવારે સંકેત આપ્યો હતો કે જો પરિસ્થિતિ વધુ વણસી તો પ્રદેશમાં કટોકટી લાદી શકાય છે.
નીલમ ખીણ અને LoC નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ
સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નીલમ ખીણ અને નિયંત્રણ રેખા (LoC) નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મદરેસાઓને 10 દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પીઓકે સરકારે દાવો કર્યો છે કે ભારતીય આક્રમણની સ્થિતિમાં ખોરાક, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. એક અબજ રૂપિયા ઇમરજન્સી ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉપરાંત, હોટલ, ગેસ્ટહાઉસ અને લગ્ન હોલના માલિકોએ તેમની મિલકતો સેનાને ઓફર કરી છે.
મદરેસા બંધ થઈ ગયા
ગુરુવારે, અધિકારીઓએ નીલમ ખીણ અને નિયંત્રણ રેખા નજીકના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘણા પ્રવાસીઓને માર્બલ ચેકપોસ્ટ પરથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. લીપા ખીણના રહેવાસીઓને નિયંત્રણ રેખા (LoC) નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓને સહયોગ કરવા કહેવામાં આવ્યું છે.
સરકારે મદરેસાઓને 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો
ગુપ્ત માહિતીના આધારે સરકારે મદરેસાઓને 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે એવી આશંકા છે કે ભારત આ સંસ્થાઓને આતંકવાદી તાલીમ કેન્દ્રો તરીકે ઓળખાવીને નિશાન બનાવી શકે છે. કાયદા મંત્રી મિયાં અબ્દુલ વાહિદે બફાટ કરતા કહ્યું હતુ કે , “આપણે એક ચાલાક, નિર્દય અને કાવતરાખોર દુશ્મનનો સામનો કરી રહ્યા છીએ, જેના નાપાક કાર્યોને નકારી શકાય નહીં.”
હવાઈ સેવાઓ પર પણ પ્રતિબંધો
મે મહિના દરમિયાન કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્રમાં દરરોજ 8 કલાક (સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી) ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. આ સાથે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ રહી છે.


