IPL 2025 મેગા ઓક્શન થયું, ત્યારે રિષભ પંત સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો. લખનૌ સુપર જાયન્ટ્સે તેમને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા અને ટીમનો કેપ્ટન પણ બનાવ્યો. કમનસીબે, લખનૌ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યું નહીં અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું.
IPL 2025 માં પંતનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નથી, જેમાં તે 12 મેચમાં ફક્ત 135 રન જ બનાવી શક્યો છે. આ ખરાબ પ્રદર્શનને કારણે એવી અટકળો ચાલી રહી હતી કે પંતને LSG ટીમે બહાર કાઢી મૂક્યો છે, પંતે પોતે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે.
રિષભ પંતની પોસ્ટ થઈ વાયરલ
રિષભ પંતે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ અટકળોને ખોટા સમાચાર ગણાવ્યા છે. તેને લખ્યું છે કે “હું સમજું છું કે ખોટા સમાચાર ઘણી ચર્ચાનો વિષય બની જાય છે. થોડી સમજણ અને વિશ્વસનીય સમાચાર એજન્ડા-આધારિત અને ખોટા સમાચાર કરતાં વધુ મદદરૂપ થઈ શકે છે. આભાર, તમારો દિવસ શુભ રહે. સોશિયલ મીડિયા પર આપણે શું શેર કરી રહ્યા છીએ તે અંગે જવાબદાર બનો.”
રિષભ પંત આ કારણોસર થયો ટ્રોલ
રિષભ પંતને બે મુખ્ય કારણોસર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક કારણ એ છે કે તેને આખી સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી નથી. અત્યાર સુધી, તે 12 મેચમાં 12.27 ની એવરેજથી માત્ર 135 રન બનાવી શક્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સે એક વખત 6 મેચમાંથી 4 જીત નોંધાવી હતી. જ્યારે સીઝનના બીજા ભાગમાં, LSG એ 6 મેચમાંથી ફક્ત 1 જ જીત નોંધાવી છે. આ પરિસ્થિતિમાં, રિષભ પંતને તેની કેપ્ટનશીપ માટે ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે.
સીઝનની શરૂઆત પહેલા, લખનૌ ટીમના માલિક સંજીવ ગોયેન્કાને તેમની ટીમ અને રિષભ પંતની કેપ્ટનશીપથી ઘણી આશાઓ હતી. તેમને કહ્યું કે 10 વર્ષ પછી રિષભ પંતનું નામ એમએસ ધોની અને રોહિત શર્મા જેવા દિગ્ગજો સાથે લેવામાં આવશે.


