રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમે IPL 2025 ટ્રોફી જીતી. ત્યારબાદ ટીમ સેલિબ્રેટ કરવા માટે બેંગલુરુ શહેરમાં આવી. જ્યાં ટીમને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચવાનું હતું. તે પહેલાં પણ બેંગલુરુ સ્ટેડિયમમાં ભાગદોડ મચી હતી.
આ ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પર ફેન્સ BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. જેના પર હવે BCCI સેક્રેટરીએ મોટું નિવેદન આપ્યું છે.
BCCI સેક્રેટરીનું મોટું નિવેદન
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે “બેંગલુરુમાં થયેલી આ ઘટનાથી આપણે બધા બહુ જ હેરાન છીએ. બીસીસીઆઈએ મૃતકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે.
આ ઘટનામાં તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ જે આ ઘટનામાં ઘાયલ થયા છે. જ્યારે કોઈ આટલા મોટા પાયે જીતનો જશ્ન મનાવે છે, ત્યારે યોગ્ય સાવધાની, સલામતી અને સુરક્ષાના પગલાં લેવા જોઈએ. ક્યાંક કંઈક ચૂક થઈ છે. યોગ્ય સાવચેતી રાખવી જોઈતી હતી જેથી આવી ઘટના ટાળી શકાય. મેં સાંભળ્યું છે કે સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે કોઈ અપ્રિય ઘટના ન બને.”
દેવજીત સૈકિયાએ ફાઈનલ પર પણ કરી વાત
IPL 2025ની ફાઈનલ અંગે, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે ‘અમદાવાદમાં ગઈકાલે પણ IPL ફાઈનલ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,20,000 લોકો હાજર હતા, પરંતુ BCCI પાસે એક સમર્પિત ટીમ છે જેને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે મળીને દર્શકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિસ્તૃત યોજના બનાવી છે. જ્યારે અમે T20 વર્લ્ડકપ પછી મુંબઈમાં વિજય પરેડનું આયોજન કર્યું, ત્યારે અમે સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી અને આપણા હીરોને મળવા આવેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિસ્તૃત વ્યવસ્થા કરી હતી.