ઓગસ્ટ 2024માં શેખ હસીના સરકાર સામે બાંગ્લાદેશમાં બળવો થયા બાદ વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ સત્તા સંભાળી રહ્યા છે. તેમણે એપ્રિલ 2026 ના પ્રથમ પખવાડિયામાં સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. ઈદ ઉલ અજહાની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના નામે પ્રસારિત સંદેશમાં આ જાહેરાત કરી છે. તેમણે ચૂંટણી પંચ જલ્દીથી ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે એમ કહ્યું હતું.
હજુ મતદાનની તારીખ નક્કી નથી
શેખ હસીનાએ કથિત રીતે વિદ્યાર્થી આંદોલનના લીધે સત્તા છોડવાનો વારો આવ્યો હતો. આવામી લીગના શાસનનો અંત આવ્યો હતો. તેઓ ભારતના શરણે આવ્યા હતા. જોકે બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી હતી. દરમિયાન નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના સલાહકાર તરીકે જવાબદારી સોંપાઈ હતી. શુક્રવારે તેમણે ચૂંટણીની જાહેરાત કરતાં કહ્યું કે, અંતરીમ સરકારના ત્રણ મુખ્ય ઉદ્દેશ સુધાર, ન્યાય અને ચૂંટણીના મુખ્ય ઉદ્દેશ સાથે પદભાર સાંભળ્યો હતો. 84 વર્ષના યુનુસે કહ્યું કે, એપ્રિલના પ્રથમ 15 દિવસમાં કોઈ પણ દિવસે બાંગ્લાદેશમાં ચૂંટણી કરાશે. જોકે મતદાનની તારીખ હજુ નક્કી નથી થઈ.
આવામી લીગનું રજીસ્ટ્રેશન રદ કરાયું
ચૂંટણીની જાહેરાતની વચ્ચે શેખ હસીનાની પાર્ટી આવામી લીગની પરેશાની વધી છે. તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. તેથી આ પક્ષ આગામી ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. આ નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. હાલમાં ઢાકા સહિતના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે સોશિયલ મીડિયા દ્વારા યુનુસ ઉપર બદલાની રાજનીતિનો આક્ષેપ કર્યો હતો. વિપક્ષ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ ચૂંટણીઓ ડિસેમ્બર 2025 સુધી કરવા માટે માગણી કરી છે. બીએનપીનું કહેવું છે કે, અંતરીમ સરકારને સમર્થન આપવું કઠિન છે.
સેનાએ વર્ષાંતે ચૂંટણી કરવાની પેરવી કરી
સેના પ્રમુખ જનરલ વાકર ઉ ઝ ઝમાને પણ આ વર્ષના અંતમાં ચૂંટણીઓ કરવામાં આવે તેવી પેરવી કરી છે. દેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા માટે ચિંતા જતાવી છે. ગત વર્ષે આંદોલનમાંથી ઉભરી આવેલી નવી રાજકીય પાર્ટી નેશનલ સિટીઝન પાર્ટીએ એમ જણાવ્યું છે કે, જ્યાં સુધી સંસ્થાગત સુધારોમાં વાદા મુજબ કામ ન થાય ત્યાં સુધી ચૂંટણીઓ ન કરવી જોઈએ.