ભારતમાં ક્રિકેટ અને બોલીવુડ લોકોને સૌથી વધુ પસંદ છે. લોકો ક્રિકેટર અને અભિનેતાને આદર્શ માને છે અને કેટલાક તો તેમની ભગવાનની જેમ પૂજા કરે છે. પરંતુ કયારેક આ ક્રિકેટરો પણ ટ્રોલ થતા હોય છે અને કેટલીક વખત તેમના ચાહકોને કારણે તેઓ મોટી મુસીબતમાં ફસાઈ જાય છે. હાલમાં છત્તીસગઢ એક્સપ્રેસમાં એક ક્રિકેટરનું મુસાફરી દરમિયાન મોત થયું. વધુ દુઃખદ વાત એટલા માટે કે મુસાફરી દરમિયાન ક્રિકેટરની તબિયત લથડી હતી. મદદ માટે અનેક કોલ કરવામાં આવ્યા. પરંતુ સ્ટેશન પર પંહોચે તે પહેલા જ ખરાબ તબિયતને પગલે ક્રિકેટરનું ટ્રેનમાં જ મોત નિપજયું.
મુસાફરી કરતા ક્રિકેટરની તબિયત લથડી
પંજાબના દિવ્યાંગ ક્રિકેટર વિક્રમ સિંહ બુધવારે રાત્રે હઝરત નિઝામુદ્દીન સ્ટેશનથી છત્તીસગઢ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ગ્વાલિયર એક વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિક્રમસિંહ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન ટ્રેનમાં જ અચાનક વિક્રમસિંહની તબિયત બગડી. ટ્રેનમાં હાજર તેમના સાથી ક્રિકેટરોએ વિક્રમને બચાવવા પ્રયાસ કર્યા. પરંતુ તેમની તબિયત વધુ ગંભીર બનતા સાથી ક્રિકેટરોએ તાત્કાલિક રેલ પ્રસાસનનો સંપર્ક કર્યો.
મદદ ના મળવાના કારણે થયું મૃત્યુ
વિક્રમસિંહના સાથીદારનું કહેવું છે કે અમે ટ્રેનમાં ચઢયા બાદ ત્યારથી તેમને તીવ્ર દુખાવો થવા લાગ્યો હતો. પહેલા તેમને પ્રાથમિક ધોરણે મદદ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તબિયત વધુ ગંભીર બનતા સવારે 4:58 વાગ્યે રેલ્વે હેલ્પલાઇન પર તાત્કાલિક તબીબી સહાયની માંગણી માટે એક ઇમરજન્સી કોલ કર્યો હતો. તે અમારી નજર સામે દુઃખાવાથી પીડાઈ રહ્યો હતો અને મદદ માટે અનેક ઇમરજન્સી કોલ કર્યા છતાં પરિણામ શૂન્ય. ટ્રેન પણ મથુરા સ્ટેશન મોડી પહોંચી અને તેને હોસ્પિટલમાં લઈ જઈએ તે પહેલા જ ટ્રેનમાં અમારા મિત્રનો જીવ ગયો. તેમની મદદ માટે ઘણા ઇમરજન્સી કોલ કરવામાં આવ્યા હતા. છતાં સમસયસર તબીબી મદદ ના મળવાના કારણે ક્રિકેટર વિક્રમસિંહનું મૃત્યુ થયું.