પંજાબ કિંગ્સને IPL 2025ની ફાઈનલમાં પહોંચાડનાર કેપ્ટન શ્રેયસ ઐયરે એક મોટો ખુલાસો કરીને તમામને ચોંકાવી દીધા છે. શ્રેયસ ઐયરે PBKSના સહ-માલિક પ્રીતિ ઝિન્ટા સામે ખુલાસો કર્યો હતો કે, જ્યારે તેમને આ સિઝનની હરાજી દરમિયાન 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળવાની ખબર પડી ત્યારે તે સીધો વોશરૂમમાં ભાગ્યો હતો. શ્રેયસ ઐયરને આ સિઝનમાં પંજાબ કિંગ્સ દ્વારા 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
પંજાબ કિંગ્સે શ્રેયસને 26.75 કરોડમાં ખરીદ્યો
શ્રેયસે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હોવાથી પંજાબ કિંગ્સ ફાઈનલ સુધી પહોંચી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 6 રનથી હરાવ્યું અને પહેલીવાર IPL ટ્રોફી કબજે કરી હતી. ગયા સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ટાઇટલ જીત્યું હતું. તેમ છતાં KKRએ તેને રિલીઝ કર્યો હતો. IPL 2025 મેગા હરાજીમાં તે 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ઉતર્યો હતો પરંતુ પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે ઋષભ પંત પછી IPLમાં બીજા ક્રમનો સૌથી મોંઘો ખેલાડી છે.
શ્રેયસ ઐયરે કર્યો ચોંકાવનારો ખુલાસો
શ્રેયસ ઐયરે પ્રીતિ ઝિન્ટાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, IPL 2025 મેગા હરાજીમાં જ્યારે મારી બોલી 20 કરોડને વટાવી ગઈ ત્યારે હું નર્વસ થઈને વોશરૂમમાં ભાગ્યો હતો. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે શ્રેયસ ઐયરને પોતાની ટીમમાં સમાવવા માટે સ્પર્ધા ચાલી રહી હતી. શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઇડર્સ પણ તેમાં જોડાયું હતું પરંતુ 10 કરોડની બોલી લગાવ્યા બાદ તેઓ પાછળ હટી ગયા હતા.
શ્રેયસનું IPLમાં શાનદાર પ્રદર્શન
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બોલી ચાલુ રહી હતી. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સે 26.50 કરોડ રૂપિયા સુધી બોલી લગાવી પરંતુ અંતે પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયાની બોલી લગાવીને શ્રેયસ ઐયરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. IPL 2025માં શ્રેયસ ઐયરે બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં 16 મેચમાં 50.33ની સરેરાશથી 604 રન બનાવ્યા છે. જેમાં 6 અડધી સદીનો સમાવેશ થાય છે.