18 વર્ષની રાહનો અંત લાવવા માટે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ધરતી પર પગ મૂક્યો છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા એડિશનની શરૂઆત માટે આ દેશમાં પહોંચી છે જ્યાં તેને ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. આ સીરીઝ 20 જૂનથી શરૂ થશે પરંતુ ટીમ ઈન્ડિયાએ લગભગ 2 અઠવાડિયા પહેલા જ પોતાનો કેમ્પ શરૂ કરી દીધો છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.
ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો
પ્રેક્ટિસના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. કારણ કે નેટ્સમાં એક નાનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો ભોગ ટીમના ઉપ-કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર ઋષભ પંત હતો જે ઘાયલ થયા હતો. ભારતીય ટીમ શુક્રવારે 6 જૂનના રોજ ઈંગ્લેન્ડ પહોંચી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ એક દિવસ આરામ કર્યો હતો અને 7 જૂને ખેલાડીઓએ લોર્ડ્સમાં હળવા ફિટનેસ ડ્રીલ કરીને હવામાનને અનુરૂપ પોતાને બનાવ્યા હતા. રવિવાર 8 જૂનથી ટીમ ઈન્ડિયાએ લંડનથી લગભગ 15-16 કિલોમીટર દૂર આવેલા નાના શહેર બેકનહામમાં કૌશલ્ય પ્રેક્ટિસ શરૂ કરી હતી. ગ્રેટર લંડન કાઉન્ટી અંદર આવેલા આ શહેરમાં ટીમ ઈન્ડિયા લગભગ 10 દિવસ સુધી તેની તૈયારીઓ કરશે.
ઋષભ પંત ઘાયલ થયો
જોકે, કેમ્પના પહેલા જ દિવસે એક ચિંતાજનક નજારો જોવા મળ્યો હતો. ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, પંતને બેટિંગ કરતી વખતે આ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. ઋષભ પંતને જ્યારે એક બોલ તેના ડાબા હાથને કોણી પાસે વાગ્યો હતો. પંત પીડામાં હોય તેવું લાગતું હતું અને તરત જ નેટ છોડી ગયો હતો. જોકે, તબીબી ટીમ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હતી અને તેના દુખાવાને ઘટાડવા અને સોજો અટકાવવા માટે તરત જ ‘આઈસ પેક’ લગાવવામાં આવ્યું હતું.
હાલમાં એ સ્પષ્ટ નથી કે પંત ભારતીય બોલરના બોલ પર ઘાયલ થયો હતો કે થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટના બોલ પર. આ સિવાય ઈજા કેટલી ગંભીર છે એ અંગે કોઈ માહિતી સામે આવી નથી. અહેવાલ અનુસાર કહેવામાં આવ્યું છે કે, બરફ લગાવ્યા બાદ ઋષભ પંતના હાથ પર પાટો બાંધવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે નેટ છોડીને ગયો હતો.