2025માં બીજી ક્વોલિફાયર મેચમાં કેપ્ટન શ્રેયસ ઐયર તેમની ટીમના એક ખેલાડી પર મેચ પૂરી થયા બાદ ખુબજ ગુસ્સે દેખાયા હતા. ત્યારે હવે પંજાબ કિંગ્સના ખેલાડી શશાંક સિંહે આ બાબતે મોટો ખુલાસો કરીને શ્રેયસ ઐયરનું તેના પર ગુસ્સે થવાનું કારણ જણાવ્યું હતું.
શ્રેયસ ઐયર વિશે એક મોટો ખુલાસો
IPL 2025ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને 18 વર્ષ બાદ ટ્રોફી બેંગ્લુરુના નામે કરી હતી. પંજાબ કિંગ્સ તરફથી આખી સિઝન દરમિયાન શશાંક સિંહે ખુબજ શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. ફાઇનલ મેચમાં પણ શશાંક સિંહે ધમાકેદાર બેટિંગ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમની થોડા સામે માટે મુશ્કેલી વધારી દીધી હતી. ત્યારે હવે શશાંક સિંહે કેપ્ટન શ્રેયસ ઐયર વિશે એક મોટો ખુલાસો કરીને સ્વીકાર્યું કે તેણે ભૂલ કરી હતી, જેના માટે શ્રેયસ ઐયરને તેને થપ્પડ મારવી જોઈતી હતી.
બીજી ક્વોલિફાયર મેચમાં શ્રેયસ થયો હતો ગુસ્સે
મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ રમાઈ હતી. આ મેચ બે કારણથી ખુબજ ચર્ચામાં આવી હતી. પહેલું કારણ એ હતું કે પંજાબે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. અને બીજું કારણ એ કે આ મેચ પત્યા બાદ શ્રેયસ સાથે હાથ મિલાવતા સમયે શશાંક સિંહ પર શ્રેયસ ઐયર ખુબજ નારાજ દેખાઈ રહ્યો હતો, કેમકે ક્વોલિફાયર મેચમાં શશાંકના ધીમા દોડવા પર ખુબજ સવાલો ઉઠયા હતા. હાર્દિક પંડયાએ તેને રન આઉટ કરતાં આ મામલો ગરમાયો હતો.
શ્રેયસે મને થપ્પડ મારવી જોઈએ
આ ઘટના બાબતે શશાંક સિંહે એક ઇન્ટરવ્યૂમાં એક મોટો ખુલાસો કર્યો છે. શશાંક સિંહે સ્વીકાર્યું હતું, કે શ્રેયસ ઐયરે જે બાબતથી તેના પર ગુસ્સો કર્યો તે બિલકુલ વ્યાજબી હતું. વધુમાં તેને કહ્યું કે ‘હું થપ્પડ મારવાને લાયક છું, ઐયરે મને થપ્પડ મારવી જોઈતી હતી. મારા પિતાએ પણ ફાઇનલ સુધી મારી સાથે વાત કરી ન હતી. હું તે રન લેવામાં બેદરકાર હતો. મેચ ત્યાંથી બીજી તરફ જઈ શકતી હતી. શ્રેયસે મને સ્પષ્ટપણે કહ્યું કે તેને મારી પાસેથી આવી અપેક્ષા ન હતી. પણ પછી તે મને ડિનર પર પણ લઈ ગયો.’