ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાને 72 કલાક વીતી ગયા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 406 ઈરાની નાગરિકો અને સૈનિકોના મોત થયા છે જ્યારે 654 લોકો ઘાયલ થયા છે. જોકે, ઈરાને આ આંકડાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ફક્ત 224 મૃત્યુ થયા છે જેમાંથી મોટાભાગના નાગરિકો છે. તે જ સમયે, ઈરાની જવાબી હુમલામાં ઈઝરાયલમાં 16 લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ થયા છે.
ઈઝરાયલે એક એર કોરિડોર બનાવ્યો
ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે તેના દેશથી તેહરાન સુધી એક ‘એર કોરિડોર’ બનાવ્યો છે જેના દ્વારા તે હવે કોઈપણ અવરોધ વિના તેહરાન પર હવાઈ હુમલા કરી શકે છે. આ કોરિડોરનો ઉપયોગ કરીને ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનના મશહદ એરપોર્ટ પર 2,300 કિલોમીટર દૂર એક રિફ્યુઅલિંગ પ્લેનને નિશાન બનાવ્યું અને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું હતું.
લશ્કરી અને પરમાણુ મથકો પર મોટા પાયે હુમલા
ઈઝરાયલે ઈરાનના નાન્ટ્ઝ, ઈસ્ફહાન અને ફોર્ડો પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં યુરેનિયમ સંવર્ધન મશીનોને ભારે નુકસાન થયું છે. તેહરાન અને અન્ય શહેરોમાં લશ્કરી થાણાઓ, મિસાઈલ ઉત્પાદન કેન્દ્રો અને રિફાઈનરીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. કરમાનશાહ અને તબરીઝમાં મિસાઈલ થાણાઓ નાશ પામ્યા છે જ્યારે તેહરાનના મેહરાબાદ એરપોર્ટને પણ નુકસાન થયું છે.
ટોચના લશ્કરી નેતૃત્વ અને વૈજ્ઞાનિકોનું મૃત્યુ
ઈઝરાયલી હુમલાઓમાં ઈરાનની ટોચની લશ્કરી અને ગુપ્તચર નેતૃત્વ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. માર્યા ગયેલા વરિષ્ઠ અધિકારીઓમાં શામેલ છે. જેમાં મેજર જનરલ મોહમ્મદ બઘેરી (સેના પ્રમુખ), મેજર જનરલ હુસૈન સલામી (IRGC કમાન્ડર), મેજર જનરલ ગુલામ અલી રશીદ, જનરલ અમીર અલી હાજીઝાદેહ, જનરલ ગુલામરેઝા મેહરાબ, જનરલ મેહદી રબ્બાની, બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝેમી અને જનરલ હસન મોહકિક (IRGC ગુપ્તચર વડા અને નાયબ), અલી શામખાની (સર્વોચ્ચ નેતાના સલાહકાર)નું મૃત્યું થયા છે.
સાથે જ મોહમ્મદ મેહદી તેહરાંચી, ફેરેદૌન અબ્બાસી-દાવાણી, અબ્દુલહમીદ મિનોચેહર, અહમદરેઝા ઝોલ્ફાગરી, અમીરહોસેન ફકી, અલી બકાઈ કરીમી, મન્સૂર અસગરી અને સઈદ બોરજી સહિત ઈઝરાયલી હુમલામાં ઘણા પ્રખ્યાત ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે.
ઈરાને બદલો લેતા તેલ અવીવમાં વિનાશ
ઈરાને ઈઝરાયલ પર 100-200 બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડીને બદલો લીધો હતો. આમાંથી કેટલીક આયર્ન ડોમથી બચવામાં સફળ રહી અને તેલ અવીવમાં ઘણી ઈમારતો નાશ પામી. ઈરાને મુખ્યત્વે તેલ અવીવ, રામત ગાન, બાટ યામ અને રેહોવોટને નિશાન બનાવ્યા.
હાઈફા અને ડિમોના પર હુમલા
ઈરાને સોમવારે વહેલી સવારે કબજા હેઠળના વિસ્તારો પર મિસાઈલ છોડ્યા હતા. આમાં હાઈફા, કિર્યાત ગેટ, નેગેવ રણ અને ડિમોના સંકુલનો સમાવેશ થાય છે. હાઈફા બંદર પર હુમલા બાદ આગ ફાટી નીકળી હતી. ઈરાની સેનાએ વેઇઝમેન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટને પણ નિશાન બનાવ્યું હતું. આ સાથે 150થી વધુ લશ્કરી અને ગુપ્તચર મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાની સેનાએ આ હુમલામાં શાહેદ હજ કાસિમ મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો જેનું વજન 660થી 1540 પાઉન્ડ હતું. જોકે, મોટાભાગની મિસાઈલો ઈઝરાયેલી અને અમેરિકન સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નષ્ટ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલીક મિસાઈલો લશ્કરી થાણાઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ઈઝરાયલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
ઈરાની હુમલા બાદ ઈઝરાયલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. તેલ અવીવ, જેરુસલેમ અને હાઇફામાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા જેના કારણે લાખો લોકોને બંકરોમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ હજુ પણ તંગ છે અને પ્રાદેશિક યુદ્ધની શક્યતા વધી રહી છે.