અમદાવાદમાં થોડા દિવસો પહેલા એરપોર્ટ પરથી ટેક ઓફ થયાની ગણતરીની મીનિટોમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 270 જેટલા લોકોના મોત થયા હતાં. જેમના મૃતદેહોની ઓળખ માટે DNA મેચિંગની કામગીરી ચાલી રહી છે. ઘણા લોકોને મૃતકોના મૃતદેહો આપી દેવાયા છે. આ ઘટના હજી શાંત નથી થઈ ત્યાં હૈદરાબાદમાં શમશાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના થતાં રહી ગઈ છે. એર ઈન્ડિયાના વિમાનમાં ઉડાન પહેલા જ ખામી દેખાતા તેને રન વે પર રોકી દેવાયું હતું.
એર ઈન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું
તેલંગાણાની રાજધાની હૈદરાબાદના શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના થતાં અટકી ગઈ હતી. આજે શુક્રવારે એર ઈન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું. ત્યારે વિમાનમાં ટેકનિકલ ખામી સામે આવી હતી. પાયલટે વિમાનને ટેક ઓફ પહેલા જ રનવે પર રોકી લીધું હતું. પાયલટ તરફથી તાત્કાલિક કરવામાં આવેલી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
યાત્રિઓ માટે બીજા વિમાનની વ્યવસ્થા કરી
એર ઈન્ડિયાની ટીમે તત્પરતા દેખાડીને યાત્રિઓ માટે બીજા વિમાનની વ્યવસ્થા કરી હતી અને તમામ યાત્રીઓને સમય પ્રમાણે મુંબઈ રવાના કર્યા હતાં. એર ઈન્ડિયાના વિમાનોમાં ખામી સર્જાતા મુસાફરોમાં ભય ફેલાયો છે. અમદાવાદમાં 12મી જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની બોઈંગ ફ્લાઈટની તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાંથી 33 ફ્લાઈટોમાંથી 26 ફ્લાઈટોની તપાસ પૂર્ણ થતાં તેને ઉડાન માટે મંજૂરી અપાઈ છે.