અર્જુન એવોર્ડ વિજેતા અને ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન પવન શહરાવતે 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની યજમાની અમદાવાદને મળવા પર ગૌરવ વ્યક્ત કર્યો છે. તેમણે આ નિર્ણયને ‘ભારત માટે ગૌરવની ક્ષણ’ ગણાવ્યો છે. શહરાવતનો દ્રઢ આત્મવિશ્વાસ છે કે અમદાવાદ માત્ર આયોજન જ નહીં, પરંતુ મેડલની દ્રષ્ટિએ પણ એક નવો ઇતિહાસ રચશે. તેમના મતે, 2010 માં નવી દિલ્હીમાં યોજાયેલા CWGમાં ભારતે મેળવેલા મેડલ રેકોર્ડને અમદાવાદમાં તોડવામાં આવશે, જે ભારતના રમતગમતના ક્ષેત્રમાં વધતા કદનું પ્રતીક છે.
કબડ્ડીના સમાવેશની આશા અને ગુજરાતના ખેલાડીઓનું ભવિષ્ય
કબડ્ડીના કેપ્ટન હોવાને નાતે, પવન શહરાવતને 2030 ની અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સમાં કબડ્ડીની રમતને પણ સામેલ કરવામાં આવે તેવી પ્રબળ આશા છે. જો આમ થશે, તો કબડ્ડીને વૈશ્વિક મંચ પર વધુ ઓળખ મળશે. વધુમાં, શહરાવતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે CWGના આયોજન બાદ ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિમાં મોટો ફેરફાર આવશે. તેમણે કહ્યું કે, આ આયોજનને કારણે ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ તૈયાર થશે અને રાજ્યને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ મળશે.
ઓલિમ્પિક યજમાનપદ માટે ભારતની દાવેદારીનું સમર્થન
કોમનવેલ્થ ગેમ્સ ઉપરાંત, પવન શહરાવતે હવે ભારતને ઓલિમ્પિક ગેમ્સની મેજબાની મળવી જોઈએ તેવી હિમાયત કરી છે. તેમના મતે, ભારત હવે આવા વૈશ્વિક આયોજન કરવા સક્ષમ છે. ઓલિમ્પિકની મેજબાની માટે તેમણે ત્રણ શહેરોને ‘બેસ્ટ જગ્યા’ તરીકે ઓળખાવ્યા છે. શહરાવત અનુસાર, માળખાકીય સુવિધાઓ અને રમતગમતના વાતાવરણને ધ્યાનમાં રાખીને અમદાવાદ, દિલ્હી અને જયપુર ઓલિમ્પિક માટે સૌથી યોગ્ય સ્થળો છે, જે ભારતની રમતગમત મહાસત્તા બનવાની ઈચ્છાને દર્શાવે છે.


