ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ થવાની અનેક ચર્ચાઓ વચ્ચે ઓક્ટોબર 2025માં દિવાળી પૂર્વે જ નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના 6 મંત્રીઓને રીપિટ કરવામાં આવ્યા અને 10 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા હતાં. જ્યારે નવા મંત્રી મંડળમાં નવા 19 ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારમાં તમામ ઝોનમાંથી ધારાસભ્યોને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.
નવા મંત્રી મંડળમાં ઓબીસીને વધુ પ્રાધાન્ય
ગુજરાતમા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો છે. આ વિસ્તારમાંથી સૌથી વધુ મંત્રી પદ આપી પ્રાદેશિક અસંતોષને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાટીદાર, ઓબીસી અને આદિજાતી સમુદાયમાંથી પ્રતિનિધિત્વ નક્કી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના નવા મંત્રી મંડળમાં ઓબીસીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજી તરફ બ્રાહ્મણ સમાજને મંત્રી મંડળમાં જોઈએ તેવું સ્થાન નહીં મળતાં વિરોધનો સુર પણ રેલાયો હતો.
અર્જુન મોઢવાડિયાને પણ મંત્રી તરીકે સ્થાન
રાજકીય નિષ્ણાંતોના મતે રાજ્યમાં વિપક્ષની પકડ ધીમે ધીમે મજબૂત થતી હોવાથી તેની અસરને ડામવા માટે પણ આ વિસ્તરણ કરવામાં આવ્યું હોવાનું નક્કી છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો મનરેગા કૌભાંડમાં ઝડપાયા બાદ તેમને તમામ સરકારી કાર્યક્રમો અને કેબિનેટની બેઠકમાંથી દૂર કરવામાં આવ્યા હતાં. સરકાર દ્વારા સ્પષ્ટ ઈશારો હતો કે, હવે કોઈપણ ભ્રષ્ટ નેતાને મંત્રી તરીકે નહીં સ્વીકારાય. બીજી તરફ એવા પણ કેટલાક મંત્રીઓ હતાં જેમના નબળા વહિવટને કારણે પણ તેમને દૂર કરવામાં આવ્યા હોઈ શકે છે. જેનાથી સરકારે મજબૂત, સ્વચ્છ શાસનનો રાજકીય સંદેશ આપવા પ્રયાસ કરાયો છે. કોંગ્રેસમાંથી આવેલા મજબૂત નેતા અર્જુન મોઢવાડિયાને પણ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
સૌથી મોટો ચર્ચાનો વિષય રહ્યા હોય તો તે હર્ષ સંઘવી
મંત્રી મંડળમાં સૌથી મોટો ચર્ચાનો વિષય રહ્યા હોય તો તે હર્ષ સંઘવી છે. તેમને રાજ્યકક્ષાના મંત્રીમાંથી સીધા જ નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા છે. તેમને પહેલીવાર જ સીધા કેબિનેટ મંત્રી બનાવી દેવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્ય મંત્રી હતાં. રાજ્ય સરકારના નવા મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત સાત પાટીદાર અને આઠ ઓબીસી નેતાઓનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરાયો હતો. રાજ્ય સરકારની નવી કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી.
નવા મંત્રી મંડળમાં 10 મંત્રીઓને પડતા મુકાયા
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળમાં 10 મંત્રીઓને પડતા મુકાયા હતાં. જેમાં મૂળુ બેરા, રાઘવજી પટેલ,બળવંતસિંહ રાજપૂત, કુબેર ડિંડોર, ભાનુબહેન બાબરિયા, મુકેશ પટેલ, કુવરજી હળપતિ અને બચુ ખાબડ અને ભીખુસિંહ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે રીવા બા જાડેજા, સ્વરૂપજી ઠાકોર,કૌશિક વેકરિયા,પ્રવિણ માળી, ત્રિકમ છાંગા, પુનમચંદ બરંડા, કાંતિલાલ અમૃતિયા, ડૉ. પ્રદ્યુમન વાજા,અર્જુન મોઢવાડિયા અને જીતુ વાઘાણીનું નામ મંત્રી મંડળમાં હોવાથી રાજકીય ગતીવિધીઓને વેગ મળ્ચો હતો.


