રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ બાદ કૃષિ રાહત પેકેજ જાહેર આવ્યું હતું. આ અન્વયે પાક નુકશાની સહાયનો લાભ મેળવવા માટે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૪,૬૧૩ ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી ૧,૫૬,૦૦૦ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.પી.એફ.એમ.એસ પોર્ટલ મારફત થયેલ કામગીરીમાં ૭૫ હજારથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને રૂ.૨૫૨ કરોડથી વધુની રકમ ડી.બી.ટી મારફત સીધી અરજદાર ખેડૂતના આધારલિંક બેક ખાતામાં જમા કરવામાં આવી છે.
અસરગ્રસ્ત ૬૨૬ ગામ આવરી લેવામાં આવ્યા
કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે અમરેલી જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતમાં જોગવાઈ મુજબ વી.સી.ઈ મારફત નુકશાન ગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી તા.૧૪/૧૧/૨૦૨૫થી શરૂ થયેલ હતી. અરજી મેળવાની આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લાના તમામ અસરગ્રસ્ત ૬૨૬ ગામ આવરી લેવામાં આવ્યા છે. અરજદાર તરફથી રજુ થયેલ સાધનિક પુરાવા અને વિગતોની ચકાસણીની કામગીરી ગ્રામસેવક અને તાલુકા સ્ટાફ મારફત કરવામાં આવી રહી છે.
૧,૫૬,૦૦૦ અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ
હાલના તબક્કે ૧,૫૬,૦૦૦ અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હાલ અન્ય અરજીઓની ચકાસણીની કામગીરી દિવસ રાત સતત શરૂ છે. જેમ જેમ અરજી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થશે તેમ ત્વરાએ પાક નુકશાની સહાય પેકેજની રકમ ખેડૂતોના બેંક ખાતામાં ડી.બી.ટી મારફત સીધી જ જમા કરવામાં આવશે. તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


