ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે આયોજિત સેમિનારમાં પ્રથમ દિવસે વૈજ્ઞાનિકો – નિષ્ણાંતોએ બાયોટેકનોલોજીના નવા આયામો ઉપર ચર્ચા કરી હતી. જેમાં માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુ અને લોકોમાં નવીન રોગો ઉદભવે છે, તેવો સૂર ઉઠ્યો હતો. બે દિવસીય આ સેમિનારના પ્રારંભિક સત્રમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, વન્યજીવનના સંરક્ષણ માટે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નવા સંશોધનો હાથ ધરવા તત્પર છીએ. તેમણે ખાસ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ સાથે મળીને વન્યજીવોના સંરક્ષણ માટે સાથે મળીને કામ કરવાની હિમાયત કરી હતી.
બાયોટેકનોલોજીના ઉપયોગ સંદર્ભે જરૂરી માર્ગદર્શન
ભવિષ્યમાં આવનાર રોગોને અટકાવવા માટે સતત સંશોધન થતું રહે તે પણ એટલું જ જરૂરી છે. ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પ્રેરક વાતોથી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું. સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફના ડાયરેક્ટર ડો. નિશિથ ધારૈયાએ જણાવ્યું હતું કે, પ્રાણીઓ શહેરી અને પ્રવાસન સ્થળોએ પણ આવા ગમન રહેતું હોય છે, ત્યારે એ ક્ષેત્રનો કચરો કે માનવ કૃત ખોરાક લેવાથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં પરિવર્તન જોવા મળે છે. જે વનવિસ્તારમાં વિતરણ કરતા વન્ય જીવો કરતાં ખૂબ ઓછી હોય છે. ઉપરાંત તેમના રીછ ઉપરના સંશોધનો વિશેની જાણકારી આપી હતી. દેહરાદુન ખાતેના માય લાઈફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સાયન્ટિસ્ટ ડો.એસ. કે. ગુપ્તાએ વન્યજીવનના સંરક્ષણમાં બાયોટેકનોલોજીના ઉપયોગ સંદર્ભે જરૂરી માર્ગદર્શન કર્યું હતું.
વન્યજીવોના સંરક્ષણ અભ્યાસ વિશે પણ છણાવટ કરી
ઉપરાંત વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વન્યજીવોના સંરક્ષણ અભ્યાસ વિશે પણ છણાવટ કરી હતી. તેમણે જુદી જુદી ભૌગોલિક સ્થિતિ અને વાતાવરણમાં રહેલા વન્યજીવોના વિશે પણ ઉપયોગી માર્ગદર્શન કર્યું હતું. વન્ય પ્રાણીઓ જ્યારે મનુષ્ય ઉપર હુમલાઓ કરે ત્યારે, તેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે, ખાસ હુમલો કરનાર વન્યપ્રાણીના વાળ, લાળ, ટીશ્યુ વગેરેના નમુના લઇ તેના પૃથ્થકરણથી તેના સચોટ જવાબો મેળવી શકાય છે. તેમ પણ ઉમેર્યું હતું. નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી રઘુવંશીસિંહ જાડેજાએ પણ પોતાના નોકરીકાળના વન્ય જીવ સંરક્ષણ માટેના અનુભવો રજૂ કર્યા હતા, ઉપરાંત આપણી આસપાસ રહેતા પશુ પક્ષીઓનું ઇકો સિસ્ટમમાં રહેલા મહત્વ વિશે માર્ગદર્શન કર્યું હતું.


