બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી રાજકીય અસંતોષ હિંસક રૂપ લઈ ચૂક્યો છે. મધ્યરાત્રિના સમયે ઢાકાના કારવાન બજાર વિસ્તારમાં આવેલા મીડિયા સંસ્થાઓના કાર્યાલયોને નિશાન બનાવવામાં આવ્યા. તોફાનીઓએ પહેલા અંગ્રેજી દૈનિક અખબાર ‘ધ ડેઇલી સ્ટાર’ના કાર્યાલયમાં તોડફોડ કરી અને ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી દીધી. તે સમયે અંદર અનેક પત્રકારો ન્યૂઝરૂમમાં કામ કરી રહ્યા હતા.
આગ લાગતાની સાથે ગોટા
આગ લાગતા જ ઇમારતમાં ધુમાડાના ગોટા ફેલાઈ ગયા. ન્યૂઝરૂમના સ્ટાફે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તોફાનીઓ પહેલેથી જ નીચેના માળે પહોંચી ગયા હતા અને તોડફોડ શરૂ કરી દીધી હતી. પરિસ્થિતિ બગડતા પત્રકારો માટે બહાર નીકળવાનો તમામ રસ્તો બંધ થઈ ગયો. અંતે, 28 પત્રકારો 9મા માળે આવેલી ટેરેસ પર જઈને આશરો લેવા મજબૂર બન્યા. નીચે આગ ભભૂકી રહી હતી અને બહાર તોફાનીઓનો તાંડવ ચાલુ હતો. એક કેન્ટીન કર્મચારીએ ફાયર એસ્કેપ સીડી વડે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જમીન પર પહોંચતા જ ટોળાએ તેને પકડીને માર માર્યો. આ ઘટના પછી કોઈએ પણ સીડીનો ઉપયોગ કરવાની હિંમત કરી નહીં.
ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી
ફાયર સર્વિસના જવાનો પાછળથી ઇમારત સુધી પહોંચ્યા અને નીચે લાગેલી આગને કાબૂમાં લીધી. ત્યારબાદ 4 ફાયર ફાઇટર્સ ફસાયેલા લોકોને બચાવવા છત સુધી પહોંચ્યા. જોકે, નીચે હજી તોડફોડ અને આગચંપી ચાલી રહી હોવાથી પત્રકારો નીચે ઉતરવા તૈયાર ન હતા. છતનો દરવાજો બંધ રાખવામાં આવ્યો અને ફૂલોના કુંડા વડે તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
હુમલાખોરો છત પર પહોંચ્યા
પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની, જ્યારે કેટલાક હુમલાખોરો છત પર પહોંચવાનો પ્રયાસ કરતા દરવાજા પર ધક્કા મારવા લાગ્યા. આ જોઈને પત્રકારો અને ત્યાં હાજર ફાયર ફાઇટર્સમાં ગભરાટ ફેલાઈ ગયો. બાદમાં એડિટર્સ કાઉન્સિલના પ્રમુખ નુરુલ કબીર અને ફોટોગ્રાફર શાહિદુલ આલમ ભીડને શાંત કરવા માટે ઇમારતની આગળ ગયા, જ્યાં નુરુલ કબીર સાથે મારપીટ કરવામાં આવી. આખરે સુરક્ષા દળોની મદદથી પત્રકારોને ફાયર-એક્ઝિટ સીડીઓ મારફતે પાછળના ભાગથી બહાર કાઢવામાં આવ્યા. એક પત્રકારે જણાવ્યું, “અમે નસીબદાર હતા. એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયા, પરંતુ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તે વિચારીએ તો ડર લાગે છે.”
ન્યૂઝરૂમ બળીને ખાખ
હુમલા બાદ ‘ધ ડેઇલી સ્ટાર’નું ન્યૂઝરૂમ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. સુરક્ષાની ચિંતા વચ્ચે અખબારે હાલ પૂરતું પ્રિન્ટ અને ઑનલાઇન પ્રકાશન બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશના મુખ્ય પ્રશાસક મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરતાં દોષિતોને કડક સજા આપવાની ખાતરી આપી છે.
12 ડિસેમ્બરે મારી હતી ગોળી
12 ડિસેમ્બરે ઉસ્માન હાદીને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું. આ ઘટનાના પડઘા રૂપે હવે બાંગ્લાદેશમાં હિંસા, અસ્થિરતા અને મીડિયા પર સીધા હુમલાઓ જોવા મળી રહ્યા છે, જે દેશના લોકતંત્ર માટે ગંભીર ચેતવણી સમાન છે.


