નવી દિલ્હીના ચીની દૂતાવાસે ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઓનલાઈન વિઝા અરજી સિસ્ટમ શરૂ કરી છે. આ નવી સિસ્ટમથી અરજદારોને વારંવાર વ્યક્તિગત રીતે ચીની દૂતાવાસ જવાની જરૂર નહીં પડે. બેઈજિંગે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર થયેલા સૈન્ય ગતિરોધ બાદ દ્વિપક્ષીય સંબંધોને ધીમે-ધીમે સામાન્ય બનાવવાની દિશામાં સાવચેત પ્રયાસો કરી રહ્યા છે.
22 ડિસેમ્બરથી અમલમાં આવી
સમાચાર એજન્સી પીટીઇના અહેવાલ મુજબ નવી દિલ્હી ચીની દૂતાવાસે ચાઈના ઓનલાઈન વિઝા એપ્લિકેશન સિસ્ટમ લોન્ચ કરી છે, જેના હેઠળ ભારતીય નાગરિકો ડિજિટલ રીતે વિઝા માટે અરજી કરી શકશે. આ સિસ્ટમ વિશેની માહિતી ચીની દૂતાવાસે તેના અધિકૃત વીચેટ એકાઉન્ટ દ્વારા આપી છે. ઓનલાઈન વિઝા સેવા 22 ડિસેમ્બરથી અમલમાં આવી ગઈ છે. અરજદારો નક્કી કરાયેલા વિઝા પોર્ટલ પર ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકે છે.
બે વખતની જગ્યાએ એક વખત જ વ્યક્તિગત હાજરી
રિપોર્ટ અનુસાર, આ ઓનલાઈન પ્લેટફોર્મ ટુરિસ્ટ (L), બિઝનેસ (M), સ્ટુડન્ટ (X) અને વર્ક (Z) વિઝા જેવી અનેક શ્રેણીઓને આવરી લેશે. અરજદારોને ઓનલાઈન ફોર્મ ભરવાનું, દસ્તાવેજો અપલોડ કરવાની અને બાયોમેટ્રિક અપોઈન્ટમેન્ટ શેડ્યૂલ કરવાની સુવિધા મળશે. જોકે બાયોમેટ્રિક પ્રક્રિયા માટે એક વખત ચીની દૂતાવાસ જવું જરૂરી રહેશે, પરંતુ કુલ મળીને વિઝા પ્રક્રિયામાં બે વખતની બદલે માત્ર એક વખત જ વ્યક્તિગત હાજરી આપવી પડશે.
વિઝા અરજી રિયલ ટાઇમમાં કરાશે ટ્રેક
આ સિસ્ટમ દ્વારા વિઝા અરજીની સ્થિતિને રિયલ-ટાઈમમાં ટ્રેક કરી શકાશે. ઉપરાંત, વિઝા ફીનું ચુકવણી ભારતીય રૂપિયામાં UnionPay મારફતે કરી શકાશે, જેથી વિદેશી કરન્સી એક્સચેન્જ પર થતો વધારાનો ખર્ચ બચી જશે. ઓનલાઈન વિઝા સુવિધાની શરૂઆતને ભારત-ચીન સંબંધોમાં ધીમે-ધીમે સુધારાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરમાં ભારતે ચીની પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝા જારી કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી હતી, જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા તપાસ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મહત્વનું છે કે મે 2020માં પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધ શરૂ થયા બાદ ભારતે ચીની નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા જારી કરવા પર રોક લગાવી હતી. આ વર્ષે જુલાઈમાં ભારતે ચીની નાગરિકોને ફરીથી ટુરિસ્ટ વિઝા આપવાનું શરૂ કર્યું, જેને બંને દેશોના સંબંધોમાં નરમી લાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે ઓક્ટોબરમાં ડાયરેક્ટ ફ્લાઇટ સેવા પણ ફરી શરૂ થઈ હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત અને ચીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેમાં કૈલાશ માનસરોવર યાત્રાની પુનઃશરૂઆત અને રાજનયિક સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સંયુક્ત કાર્યક્રમો યોજવાની યોજના પણ સામેલ છે.
આ પણ વાંચોઃ US: ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી! અમેરિકા બનાવવા જઇ રહ્યુ છે ઇતિહાસનું સૌથી યુદ્ધ જહાજ…


